મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલો જળસંચયનો મુખ્ય સ્ત્રોત એવો ડેમી-2 ડેમ ફરી એકવાર હેઠવાસના ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ટંકારા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આવેલ ચેકડેમો અને તળાવોમાં પાણીના સ્તર જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા ડેમી-2 ડેમમાંથી પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, હાલ ડેમી- 2 ડેમમાં 197 MCFT જેટલો જળજથ્થો સંગ્રહિત છે. આ જળરાશિમાંથી કુલ 125 MCFT પાણી ધીમે-ધીમે નીચાણવાળા વિસ્તારો તરફ વહેતું કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.

514 ક્યુસેક પાણી વહેતું કરાયું

આ યોજનાના ભાગરૂપે ગુરુવારે તંત્ર દ્વારા ડેમી-૨ ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ૫૧૪ ક્યુસેક પાણી ડેમી નદીના પટમાં છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પાણી વહેતું થતાં જ હેઠવાસમાં આવેલા સળંગ 10 જેટલા ગામોના બિસ્માર કે ખાલી થયેલા ચેકડેમો અને તળાવો ભરાઈ જશે, જેનાથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે અને પશુપાલકો માટે ભારે રાહત થશે.

10 ગામોને એડવાઇઝરી અને સાવચેતી

ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી પૂર અને અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેઠવાસમાં આવતા નસીતપર, રામપર સહિતના તમામ 10 ગામોના સરપંચો અને ગ્રામજનોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. મામલતદાર અને સિંચાઈ વિભાગ દ્વારા ગ્રામજનો, માછીમારો અને પશુપાલકોને ડેમી નદીના પટમાં ન જવા, પોતાના ઢોર-ઢાંખરને નદી કાંઠેથી દૂર રાખવા અને સાવચેતીના તમામ પ્રોટોકોલ જાળવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ડેમ પર સિંચાઈ વિભાગના એન્જિનિયરો અને કર્મચારીઓ દ્વારા પાણીના વહણ અને લેવલ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Vadodara: માંજલપુરમાં ભાજપ સામે આચારસંહિતા ભંગનો આરોપ, કોંગ્રેસ વોર્ડ પ્રમુખની ડિટેઇન કરાતાં બબાલ