મોરબી જિલ્લાના વિરપરડા ગામે એક અનોખી અને રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં ગામમાં આવેલા એક કૂવાનું પાણી ફરી એકવાર આપમેળે હાલક-ડોલક થતું જોવા મળ્યું છે. 2 દિવસ પહેલા કૂવાના પાણીમાં અચાનક હલચલ શરુ થઈ હતી, જે ત્યારબાદ ગત રોજ બપોર સુધી બંધ રહી હતી.
જોકે ગઈકાલે બપોરે 3:00 વાગ્યા આસપાસ કૂવાના પાણીમાં ફરીથી આ પ્રકારની અનોખી હલચલ શરુ થતાં સ્થાનિક રહીશોમાં આશ્ચર્ય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. આ દ્રશ્ય જોવા માટે ગામજનોના ટોળેટોળા કૂવા પાસે ઉમટી પડ્યા હતા.
ગ્રામજનોમાં ભૂકંપની આશંકા અને લોકમુખે ચર્ચા
કૂવાના પાણીમાં અચાનક ઉછાળો અને હાલક-ડોલક થવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં વિવિધ તર્ક-વિતર્ક શરુ થયા હતા. મોરબી અને આસપાસનો વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવતો હોવાના કારણે કેટલાક ગ્રામજનો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે જમીનની અંદર ભૂગર્ભમાં થતી કોઈ ભૂકંપ જેવી હલચલ કે પ્લેટોના ખસવાને કારણે કૂવાનું પાણી આ રીતે હલી રહ્યું હોઈ શકે છે. સતત બીજા દિવસે પણ આ ઘટના પુનરાવર્તિત થતાં ગ્રામજનોમાં ચિંતા અને આશ્ચર્ય બંને જોવા મળ્યા હતા.

ઘટના સ્થળે પહોંચેલા ભૂસ્તર અધિકારીઓએ સ્પષ્ટ કર્યું સાચું કારણ
આ ઘટના અંગે જાણ થતાં જ મોરબીના ભૂસ્તર વિભાગના અધિકારીઓની ટીમ ત્વરિત વિરપરડા ગામે પહોંચી ગઈ હતી અને કૂવાની સ્થિતિ તેમજ પાણીની હલચલનું સઘન નિરીક્ષણ કર્યું હતું. તપાસ બાદ ભૂસ્તર અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ ઘટના પાછળ કોઈ ભૂકંપ કે જોખમી પ્રવૃત્તિ જવાબદાર નથી.

અધિકારીઓએ પ્રાથમિક તારણ આપતા જણાવ્યું કે, આ પ્રવૃત્તિ માત્ર ભૌગોલિક કારણોસર થઈ રહી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે કૂવા રિચાર્જ થયા છે અને પવનની ગતિના લીધે કૂવાના પાણીમાં આ પ્રકારે હાલક-ડોલક થવાની પ્રક્રિયા જોવા મળી રહી છે.
https://twitter.com/sandeshnews/status/2085278023071531026
આ પણ વાંચો - Morbiના હળવદમાં વીજપોલ વળતર મુદ્દે આક્રમક: 40થી વધુ ગામોમાં 'ભાજપ પ્રવેશબંધી'ના બેનરો લાગ્યા!