નર્મદા જિલ્લાના રાજકારણમાં એક મોટો ફેરબદલ જોવા મળ્યો છે. તિલકવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ સમર્થિત પેનલના તમામ 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતાં જ કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ વિજય સાથે જ તિલકવાડા એપીએમસી પર કોંગ્રેસે પોતાનો સંપૂર્ણ કબજો જમાવી લીધો છે.

ભાજપના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા પંચાયત અને અન્ય ચાર તાલુકા પંચાયતોમાં શાસન ગુમાવ્યા બાદ ભાજપ માટે APMC ની ચૂંટણી અત્યંત મહત્વની માનવામાં આવતી હતી. તિલકવાડા તાલુકા પંચાયત પણ ભાજપે જીતી હતી, જેથી તિલકવાડાને ભાજપનો ગઢ માનવામાં આવતો હતો. આમ છતાં, આ વખતે તિલકવાડા એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના આ ગઢમાં સફળતાપૂર્વક ગાબડું પાડીને શાનદાર જીત મેળવી છે.

ભાજપે ઉમેદવાર ન ઉતારતાં આશ્ચર્ય

આ સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ રહી કે સત્તાધારી પક્ષ ભાજપે એપીએમસીની આ ચૂંટણીમાં એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હતો. ભાજપ તરફથી કોઈ પણ ઉમેદવારે ફોર્મ ન ભરતાં સ્થાનિક લોકો અને રાજકીય વિશ્લેષકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. ભાજપની આ પીછેહઠને કારણે કોંગ્રેસ પ્રેરિત પેનલના તમામ 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.


આ પણ વાંચો: Narmada: જિલ્લા કલેક્ટરનો આંગણવાડીના બાળકો અને કર્મચારીઓ સાથે સંવાદ