નર્મદાની મુખ્ય નહેરોના બાંધકામમાં થયેલો વ્યાપક ભ્રષ્ટાચાર ફરી એકવાર સપાટી પર આવ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય 'કચ્છ બ્રાન્ચ કેનાલ'માં મોડી રાત્રે અથવા વહેલી સવારે એકાએક 40 ફૂટ જેટલું વિશાળ ગાબડું પડી ગયું હતું. કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે નબળી દીવાલો પાણીના દબાણને સહન કરી શકી નહોતી અને જોતજોતામાં કેનાલનું મસમોટું સ્ટ્રક્ચર ધસી પડ્યું હતું.

કેનાલમાં 40 ફૂટ જેટલું વિશાળ ગાબડું 

કેનાલ તૂટવાને કારણે લાખો ગેલન પાણી વેડફાઈને આજુબાજુના નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં ભરાઈ ગયું હતું. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, સરકાર દર વર્ષે આ કેનાલોના મેન્ટેનન્સ અને લાઇનિંગ પાછળ કરોડો રૂપિયાના આંધણ કરે છે, છતાં ચોમાસા કે સામાન્ય પાણીના પ્રવાહમાં પણ દીવાલો ધસી પડે છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે બાંધકામ અને રિપેરિંગની કામગીરીમાં મોટા પાયે લોટપાણી ને લાકડા કરવામાં આવ્યા છે.

કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા આક્રોશ

આ ઘટનાને પગલે આસપાસના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ પર એકઠા થઈ ગયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરનાર કોન્ટ્રાક્ટર અને કમિશનખોર અધિકારીઓની મિલીભગતને કારણે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં વહી રહ્યા છે. ખેડૂતોએ માંગ કરી છે કે આ કેનાલનું કામ કરનાર કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ રદ કરી તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ કેનાલમાં આગળ વધુ ગાબડા ન પડે તે માટે સમગ્ર કચ્છ બ્રાન્ચ કેનાલનો તાત્કાલિક અસરથી ટેકનિકલ સર્વે કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Rajkot: આટકોટમાંથી 2 દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ગુનેગાર ઝડપાયો, MP નો સપ્લાયર્સ ફરાર