નર્મદાની મુખ્ય નહેરોના બાંધકામમાં થયેલો વ્યાપક ભ્રષ્ટાચાર ફરી એકવાર સપાટી પર આવ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય 'કચ્છ બ્રાન્ચ કેનાલ'માં મોડી રાત્રે અથવા વહેલી સવારે એકાએક 40 ફૂટ જેટલું વિશાળ ગાબડું પડી ગયું હતું. કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે નબળી દીવાલો પાણીના દબાણને સહન કરી શકી નહોતી અને જોતજોતામાં કેનાલનું મસમોટું સ્ટ્રક્ચર ધસી પડ્યું હતું.
કેનાલમાં 40 ફૂટ જેટલું વિશાળ ગાબડું
કેનાલ તૂટવાને કારણે લાખો ગેલન પાણી વેડફાઈને આજુબાજુના નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં ભરાઈ ગયું હતું. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, સરકાર દર વર્ષે આ કેનાલોના મેન્ટેનન્સ અને લાઇનિંગ પાછળ કરોડો રૂપિયાના આંધણ કરે છે, છતાં ચોમાસા કે સામાન્ય પાણીના પ્રવાહમાં પણ દીવાલો ધસી પડે છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે બાંધકામ અને રિપેરિંગની કામગીરીમાં મોટા પાયે લોટપાણી ને લાકડા કરવામાં આવ્યા છે.
