80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભારતીય તટરક્ષક દળ જિલ્લા મુખ્યાલય નં. 1, પોરબંદર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે પોરબંદરથી માધવપુર બીચ સુધી 130 કિમી લાંબી બાઈક રેલી યોજવામાં આવી હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિનો સંદેશ પહોંચાડવા સાથે દરિયાઈ સમુદાય વચ્ચે જાગૃતિ લાવવાનો હતો.
બાઈકર્સ, NCC કેડેટ્સ અને અગ્રણીઓની સક્રિય સહભાગિતા
આ 130 કિમીની રેલીમાં આશરે 30 બાઈકર્સ અને 20 NCC કેડેટ્સ એ પિલિયન રાઇડર તરીકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં Deputy Inspector General S.S.N. Bajpai (જિલ્લા કમાન્ડર, ICG પોરબંદર) તેમજ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા સહિત સ્થાનિક આગેવાનો અને માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ભાગ લીધો હતો.

માછીમાર સમુદાય સાથે સામુદાયિક સંવાદ અને CPR તાલીમ
રેલી માધવપુર પહોંચતા સ્થાનિક સમુદાય દ્વારા બાઈકર્સનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ માછીમાર સમુદાય માટે એક સામુદાયિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તટરક્ષક દળના અધિકારીઓએ માછીમારોને જીવનરક્ષક સાધનોના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિમાં જીવ બચાવવા માટે ઉપયોગી Cardiopulmonary Resuscitation ટેકનીકનું પ્રાયોગિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

તટીય સુરક્ષા અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના મજબૂત કરાઈ
આ પહેલથી ભારતીય તટરક્ષક દળ અને તટીય સમુદાય વચ્ચેના પરસ્પર સંબંધો વધુ મજબૂત બન્યા છે. 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલા આ આયોજને નેશન ફર્સ્ટની ભાવનાને વેગ આપ્યો હતો. દરિયાઈ સુરક્ષા, માછીમારોના કલ્યાણ અને સેવા-જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરવામાં આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.



આ પણ વાંચો - Independence Day 2026: પાલીતાણા તળેટી ખાતે ધર્મ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ, મુનિ ભગવંતોની નિશ્રામાં ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ