રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા એકાએક ડિમોલિશનની કડક કામગીરી હાથ ધરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધોરાજીના અલગ-અલગ વિસ્તારોમાં નગરપાલિકા તંત્ર, મામલતદાર વિભાગ અને પોલીસ કાફલાની સંયુક્ત હાજરીમાં આ મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. તંત્રના આ આકરા વલણને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

બહાર પુરા અને ભુખી ચોકડી પાસે તંત્રની કાર્યવાહી

આ ઓપરેશન અંતર્ગત ધોરાજીના બહાર પુરા વિસ્તાર અને ભુખી ચોકડી પાસે વહીવટી તંત્રના અધિકારીઓ જેસીબી મશીનો સાથે ત્રાટક્યા હતા. જોકે, આ દરમિયાન સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિક રહીશોએ પોતાની સ્વેચ્છાએ નડતરરૂપ બાંધકામો દૂર કરવાની તંત્રને બાંહેધરી આપતાં, આ વિસ્તારોમાં હાલ પૂરતી ડિમોલિશનની કામગીરી રોકવામાં આવી હતી, અને લોકોને જરૂરી સમય આપવામાં આવ્યો હતો.

હિરપરા વાડીમાં રસ્તા વચ્ચે ઉભી કરાયેલી દીવાલ જમીનદોસ્ત

બીજી તરફ, ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. અહીં બે રહેણાંક વિસ્તારોને જોડતા મુખ્ય રસ્તાની વચ્ચોવચ એક દીવાલ ઊભી કરી દેવામાં આવી હતી, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ જાહેર રસ્તા પરના દબાણ સમાન દીવાલને ધોરાજી નગરપાલિકાની ટીમે જેસીબીના પંજા વડે મિનિટોમાં જ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ આકરી કાર્યવાહીથી જાહેર માર્ગો પર દબાણ કરનારા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ છે.


આ પણ વાંચો - Rajkot Ahmedabad Highway Accident: કોલેજથી પરત ફરી રહેલા વિદ્યાર્થીનું ટ્રકની ટક્કરે મોત