રાજકોટના ગોંડલ તાલુકાના ચરખડી ગામ નજીક એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા 65 વર્ષીય શિવભક્ત કાબાભાઈ ઉમરેટિયા ચરખડી ગામ પાસે આવેલી વાડીએ પૂજા-પાઠ કરવા ગયા હતા. ભક્તિભાવમાં સદાય લીન રહેતા કાબાભાઈ ભોળાનાથની પૂજા અર્ચના પૂર્ણ કર્યા બાદ આનંદમાં આવીને નાચી રહ્યા હતા. પરંતુ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું, પૂજા પતાવી બાજુની વાડી તરફ જતા સમયે અચાનક તેમનો પગ લપસ્યો હતો.

70 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા, ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

પગ લપસવાના કારણે કાબાભાઈ વાડીમાં આવેલા આશરે 70 ફૂટ ઊંડા અને પાણીથી ચિચોડા ભરેલા કૂવામાં સીધા ખાબક્યા હતા. કૂવો ઘણો ઊંડો હોવાના કારણે તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોએ તાત્કાલિક તંત્રને કરતા ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટર્સે ભારે જહેમત ઉઠાવી વૃદ્ધના મૃતદેહને કૂવાના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

ઉમરેટિયા પરિવારમાં માતમ, પોલીસે તપાસ શરૂ કરી

કાબાભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. શાંત અને ધાર્મિક સ્વભાવના કાબાભાઈના આ રીતે અકાળે અવસાનથી તેમના પત્ની અને બે પુત્રો સહિત સમગ્ર ઉમરેટિયા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Rajkot News: જસદણના મોટા દડવા ગામમાં માતાએ પુત્રી સાથે કૂવામાં કૂદીને જીવન ટૂંકાવ્યું