રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની એક અત્યંત સંવેદનશીલ અને ઉમદા પહેલ સામે આવી છે. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગરની એક ડ્રોપ આઉટ એટલે અભ્યાસ છોડી ચૂકેલી દીકરી દેવયાનિબા જાડેજાના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ તેને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રેરણાદાયી પગલું ભર્યું હતું.
દીકરીના ઘરે જઈ શિક્ષણનું મહત્વ સમજાવ્યું
'બેક ટુ સ્કૂલ' અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ વિદ્યાર્થીની દેવયાનિબા અને તેના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીએ પરિવાર સાથે સ્નેહપૂર્ણ સંવાદ સાધીને દીકરીઓ માટે શિક્ષણ કેટલું અનિવાર્ય છે, તેની સમજણ આપી હતી. દીકરી ફરીથી શાળાએ જાય અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષણ મંત્રીએ તેને પોતે ધોરણ-9 ના પાઠ્યપુસ્તકો એનાયત કર્યા હતા.


