સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક ત્રિનેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો ઐતિહાસિક લોકમેળો આગામી 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ધામધૂમથી યોજાશે. રંગબેરંગી છત્રીઓ, ભાતીગળ લોકસંસ્કૃતિ અને ગ્રામીણ પરંપરા માટે દેશ-વિદેશમાં જાણીતા આ મેળો યોજવા માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં લાખોની સંખ્યામાં માનવમેહરામણ ઉમટી પડે તેવી શક્યતા છે.
આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
તરણેતરના આ ભવ્ય લોકમેળાના સુચારુ અને સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે મેળામાં આવતા દેશ-વિદેશના સહેલાણીઓની સુરક્ષા અને સુવિધા માટે તંત્રને પૂર્વતૈયારીઓ ઝડપથી આખરી ઓપ આપવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
