સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત પ્રસિદ્ધ મંદિરમાં તાજેતરમાં થયેલી ચાંદીના છત્તરની ચોરીની ઘટનાનો સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ગણતરીના દિવસોમાં જ સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. સમગ્ર ચોરીની વરવી ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરીને એક આરોપીને કબ્જે કરાયેલા ચોરીના માલસામાન સાથે પકડી પાડ્યો છે.
રાવળીયાવદરનો ઈમરાન ચુડેસરા ઝડપાયો
LCB ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ચોરીમાં સંડોવાયેલા શખ્સ પાસેથી ચાંદીના નાના-મોટા કુલ 29 નંગ છત્તર તેમજ ગુનામાં વપરાયેલું મોટરસાઈકલ મળીને કુલ રૂ. 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.મંદિરમાં ચોરી આચરનાર આ શખ્સની ઓળખ ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે રહેતા ઈમરાન ચુડેસરા તરીકે થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ચોક્કસ ભાળ મેળવીને તેની અટકાયત કરી હતી.
