સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે આવેલા પ્રાચીન અને પવિત્ર સ્થળ વણા તળાવ પર નરસિંહ ટેકરી તરીકે ઓળખાતી જગ્યાએ સ્વયંભૂ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. શ્રાવણી વદ અમાસના પવિત્ર દિવસે જ્યાં દાદાની મૂર્તિ સ્થાપના નિમિત્તે દર વર્ષે ભવ્ય ધાર્મિક આયોજન થાય છે. આ વર્ષે પણ અહીં પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વણા ગામ તેમજ આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
154 વર્ષ પહેલાં ખેડૂતને ખેતરે જતાં પ્રગટ થયા હતા હનુમાનજી
આ ધામનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ અને લોક વાયકા પર આધારિત છે. આશરે 154 વર્ષ પહેલાં એક ખેડૂત ખેતરે જવા માટે તળાવની પાળ પર આવેલી ટેકરી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેની નજર એક અલોકિક પથ્થર પર પડી હતી.

ખેડૂતે કુતૂહલવશ તે પથ્થરને બહાર કાઢવા માટે ખોદકામ શરૂ કર્યું હતું, ખોદકામ કરતા જ તેમાંથી હનુમાનજી દાદાની સ્વયંભૂ પ્રતિમા પ્રગટ થઈ હતી. ખેડૂતે તુરંત જ ગ્રામજનોને જાણ કરી અને શ્રાવણી અમાસના દિવસે મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી.

છેલ્લા 71 વર્ષથી બાપાસીતારામ સેવા ગ્રુપ દ્વારા લોકમેળાનું શ્રેષ્ઠ આયોજન
મૂર્તિની સ્થાપના બાદથી શરૂઆતમાં અહીં મહાયજ્ઞનું આયોજન થતું હતું અને ધીરે ધીરે દાદાનો મહિમા વધતાં શ્રદ્ધાળુઓની ભીડ વધવા લાગી હતી. છેલ્લા 71 વર્ષથી આ સ્થળે ભવ્ય લોકમેળાનું નિયમિત આયોજન કરવામાં આવે છે. વણા ગામના 'બાપાસીતારામ સેવા ગ્રુપ' દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે. મેળામાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો: Surendranagar: નાસીકથી રાજકોટ કન્ટેનરમાં જતો દારૂ લીંબડી હાઈવે પરથી પકડાયો