થરાદ પંથકમાં મેઘરાજાએ છેલ્લા 72 કલાકથી વિરામ લીધા વિના તોફાની બેટિંગ ચાલુ રાખી છે. છેલ્લા 3 દિવસ દરમિયાન થરાદ શહેરમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી જતાં સમગ્ર નગર જળબંબાકાર થઈ ગયું છે. યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને પાણીના નિકાલના અભાવે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરના મોટાભાગના નીચાણવાળા રસ્તાઓ અને સોસાયટીઓ તળાવમાં ફેરવાઈ ગઈ છે.

 થરાદ શહેરમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ 

પરિસ્થિતિ સૌથી વધુ વિકટ મહાલક્ષ્મી સોસાયટી અને BSNL એક્સચેન્જ વિસ્તારમાં બની છે. અહીં પાણીનું સ્તર કમર સુધી પહોંચી જતાં લોકોના ઘરોમાં વરસાદી અને ગંદુ પાણી ઘૂસી ગયું હતું.ઘરોમાં અનાજ, પીવાનું પાણી અને ઇલેક્ટ્રિક સાધનો પલળી જતાં મહાલક્ષ્મી સોસાયટીના અનેક પરિવારો પોતાના નાના બાળકો અને વૃદ્ધોને સાથે લઈને ઘર છોડીને સગા-સંબંધીઓ કે ઊંચાણવાળા સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

ઘર છોડીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા રહીશો

આ ઉપરાંત ગણેશ સોસાયટી, અમન પાર્ક અને ચામુંડાનગર જેવી મુખ્ય સોસાયટીઓમાં પણ ઢૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી વાહનવ્યવહાર અને સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. ચોમાસા પહેલાં થરાદ નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરવામાં આવેલા મોટા-મોટા દાવાઓ માત્ર કાગળ પર જ સાબિત થયા છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે ગટરોની યોગ્ય સફાઈ ન થવાને કારણે આટલી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં પાલિકા તંત્ર અને સ્થાનિક વહીવટી અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક ધોરણે મોટા પંપ મૂકીને પાણી ઉલેચવાની અને રાહત આપવાની માગ કરી છે.

આ પણ વાંચો: Kheda: ઉપરવાસના તોફાની વરસાદથી સાબરમતી અને વાત્રક નદીમાં પૂરના નવા નીર, 7 નદીઓનો સંગમ બન્યો અફાટ 'દરિયો'