વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલ્વે સ્ટેશન ખાતે આજે એક મોટી રેલ દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી. વિરારથી ઉપડીને ભરૂચ તરફ જઈ રહેલી ટ્રેન નંબર 19101 (વિરાર-ભરૂચ મેમુ ટ્રેન) ભીલાડ સ્ટેશન પર પહોંચી તે જ સમયે અચાનક ટ્રેકના પોઇન્ટ પાસે ટ્રેનનો એન્જિન ભાગ પાટા પરથી નીચે ઉતરી ગયો હતો.અચાનક આંચકા સાથે ટ્રેન ઊભી રહી જતાં મુસાફરોમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

મોટી જાનહાનિ થતા ટળી

ઘટના સમયે ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે ટ્રેનનો માત્ર એન્જિનનો ભાગ જ ડીરેલ થયો હતો અને પાછળના પેસેન્જર કોચ સલામત રહ્યા હતા. આ અકસ્માતમાં કોઈ પણ મુસાફરને નાની-મોટી ઈજા કે જાનહાનિ થઈ નથી, જેથી રેલવે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ અકસ્માત મુંબઈ-અમદાવાદને જોડતા અત્યંત વ્યસ્ત રેલવે ટ્રેક પર થયો હોવાના કારણે બંને તરફનો ટ્રેન વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

 રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત 

મુંબઈથી ગુજરાત તરફ આવતી અને ગુજરાતથી મુંબઈ તરફ જતી આંતરરાજ્ય અને સુપરફાસ્ટ ટ્રેનોના શિડ્યુલ પર વિપરીત અસર પડી હતી. ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ રેલવેના વલસાડ અને મુંબઈ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ, રાહત ટ્રેન અને એન્જિનિયરિંગ ગ્રેન સાથે ભીલાડ સ્ટેશને પહોંચ્યા હતા. ટ્રેનના એન્જિનને ફરીથી પાટા પર ચડાવવા અને ટ્રેકને સુરક્ષિત બનાવી રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Vav-Tharad: સામાન્ય વરસાદમાં આખું ડેડાવા ગામ જળમગ્ન, શાળા, આંગણવાડી અને પંચાયત પાણીમાં ગરકાવ