થરાદ તાલુકાના અંતરિયાળ ગણેશપુરા ગામમાં સંબંધોની પવિત્રતાને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. ગામના એક ખેતરમાં ભાગીદારીમાં (ભાગે) ખેતી કરતા ગમા ઠાકોર નામના શ્રમિક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પરિસ્થિતિ એવી ઉભી કરવામાં આવી હતી કે જાણે યુવકનું કોઈ બીમારી કે કુદરતી રીતે મોત થયું હોય. પરંતુ મૃતકના શરીર પરના કેટલાક નિશાનો અને ઘટનાસ્થળની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. થરાદ પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી હતી.
અનૈતિક સંબંધો અને હત્યાનું કાવતરું
પોલીસની પ્રાથમિક તપાસ અને સ્થાનિકોની પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. મૃતક ગમા ઠાકોર જે ખેતરમાં ભાગિયા તરીકે પરિવાર સાથે રહીને કામ કરતો હતો, તે જ ખેતરના માલિક સાથે ગમા ઠાકોરની પત્નીને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ આડા સંબંધોની જાણ ગમા ઠાકોરને થઈ ગઈ હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. પોતાના પ્રેમ સંબંધોમાં અવરોધ બનતા પતિને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવા માટે કાતિલ પત્ની અને ખેતર માલિકે ત્રીજા વ્યક્તિ સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું અને મોકો જોઈને ગમા ઠાકોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
