વાવ-થરાદ અને લાખણી પંથકમાં ખેતી માટે પાણીની ભારે અછત સર્જાતાં ખેડૂતોમાં રોષનો જ્વાળાભૂખી ફાટી નીકળ્યો છે. લાખણી તાલુકાના વાસણા ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલ સંપૂર્ણપણે કોરીધાકોર હોવાથી આસપાસના સીમ વિસ્તારના ખેડૂતો એકઠા થયા હતા.

પાણી માટે ખેડૂતોનો બુલંદ અવાજ

ચાલુ વર્ષે અનિયમિત વરસાદના કારણે વાવેતર કરેલા પાકને બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. જો સમયસર સિંચાઈનું પાણી ન મળે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતરથી વાવેલો પાક બળીને ખાખ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે આક્રોશિત ખેડૂતોએ કોરી કેનાલમાં ઉતરીને ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર અને સરકાર દ્વારા માત્ર ચૂંટણી નજીક હોય ત્યારે જ કેનાલમાં પાણી છોડવામાં આવે છે. ચૂંટણી પૂરી થયા બાદ ખેડૂતોને તેમના હાલ પર છોડી દેવામાં આવે છે.

અનિયમિત વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ

ચાંગા પંપિંગ સ્ટેશનના તમામ પાંચેય પંપ તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે અને કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી વહેવડાવવામાં આવે. દિયોદર અને લાખણી તાલુકાના છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી નિયમિત ધોરણે પહોંચાડવામાં આવે. "ચૂંટણી સમયે પાણી આપવાની નીતિ બંધ કરી ખેડૂતોના પાકને બચાવવા કાયમી ધોરણે પાણી આપવામાં આવે" તેવી સિંચાઈ વિભાગ સમક્ષ કડક માંગ કરાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: શિમલાના 1 કિલો હેરોઇન કેસમાં નાસતો-ફરતો આરોપી આઝાદસિંહ ગુજરાત ATSના હાથે ઝડપાયો