વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે વંદે માતરમના કથિત અપમાનના વિરોધમાં અને રાષ્ટ્રભાવનાના જાગરણ અર્થે ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ માર્ચનો પ્રારંભ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી કરવામાં આવ્યો હતો, જે સિવિલ 3 રસ્તા, હનુમાન ગોળાઈ થઈને થરાદના મેઈન બજાર સુધી પહોંચ્યો હતો. આ માર્ચમાં મોટી સંખ્યામાં યુવા ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હાથમાં કેન્ડલ અને રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા.

કોંગ્રેસ નેતાગીરી સામે આકરા આક્ષેપો

યુવા ભાજપના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના એક કાર્યક્રમમાં કેન્દ્રીય વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં વંદે માતરમનું અનાદર અને અપમાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગીત/રાષ્ટ્રગાનના આ અનાદરને સાંખી લેવામાં નહીં આવે તેવો સૂર વ્યક્ત કરીને ભાજપના કાર્યકરોએ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને દેશભક્તિના નારા લગાવ્યા હતા.

તાલુકા મથકોએ વિરોધ દર્શાવવાની ચીમકી

વંદે માતરમના સન્માન માટે એકત્રિત થયેલા કાર્યકરોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય સ્પષ્ટતા કે માફી નહીં માંગવામાં આવે, તો આગામી દિવસોમાં તમામ તાલુકા મથકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. હાલમાં થરાદ ખાતે યોજાયેલી આ કેન્ડલ માર્ચને પગલે સમગ્ર વાવ-થરાદ પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈને મોટો નિર્ણય, 22 સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાયું