ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળની નગરપાલિકા કચેરીમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર શહેરને રખડતા પશુઓથી મુક્ત કરાવવાની જવાબદારી જે તંત્રના શિરે છે, તે જ વેરાવળ પાલિકા કચેરીના પરિસરમાં આખલા અને રખડતા પશુઓ બિન્દાસ આંટાફેરા મારતા નજરે પડ્યા છે. પાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં પશુઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ત્યાં જ મળમૂત્ર કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં તંત્ર ઘેરાયું

પાલિકા કચેરી પરિસરમાં રખડતા પશુઓ અને આખલાઓની આ 'દાદાગીરી'નો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક તંત્રની ભારે ફજેતી થઈ રહી છે. કચેરીએ પોતાના કામ અર્થે આવતા અરજદારો અને નાગરિકો માટે પણ આ રખડતા આખલાઓ જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે, છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે.

પાલિકાના દાવાઓ સામે સવાલો અને શહેરીજનોમાં રોષ

શહેરમાંથી રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બે પૂરવાના અને શહેરને પશુમુક્ત બનાવવાના નગરપાલિકાના મોટા-મોટા દાવાઓ સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરીજનોમાં એ વાતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે જો પાલિકા પોતાની કચેરીને જ પશુમુક્ત રાખી શકતી ન હોય, તો આખા શહેરને રખડતા પશુઓની મુસીબતમાંથી ક્યારે મુક્તિ અપાવાશે? પાલિકા તંત્રની આવી આળસુ અને નિષ્ક્રિય કામગીરી સામે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

આ પણ વાંચો : Ahmedabadમાં રોગચાળાનો ખતરો વધ્યો, 15 દિવસમાં મેલેરિયાના 48 અને ડેન્ગ્યુના 68 કેસ નોંધાયા