મોરબી જિલ્લામાં વાવણીના ખરા સમયે જ ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. વાવેતર કરવાના સમયે સિંચાઈનું પાણી મળ્યું પણ ખાતર નહીં મળવાથી વાવણી કરવી કે નહીં તે અંગે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એકબાજુ સરકાર દ્વારા પૂરતુ ખાતર હોવાના દાવા કરાય છે. બીજી બાજુ ખાતર માટે ખેડૂતો ડેપોના ધક્કા ખાઈ રહ્યાં છે. ખાતર નહીં મળતાં ખેડૂતો વાવણી માટે રાહ જોઈને બેઠા છે.
ક્યારેક ખાતરનો જથ્થો નથી હોતો અથવા તો ડેપો બંધ હોય છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માળિયા અને ધ્રાંગધ્રાની બ્રાંચ કેનાલની સફાઈ બાદ પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું છે. વિવિધ વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર શરૂ કરાયું છે. આવા ખરા સમયે જ ખેડૂતોને ખાટલે મોટી ખોડ આવી પડી છે. ડીએપી ખાતર માટે ડેપો પર જગતના તાતને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ડેપોમાં ક્યારેક ખાતરનો જથ્થો નથી હોતો અથવા તો ડેપો બંધ હોય છે.
બ્રાંચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું
સરકાર દ્વારા ખાતરનો પૂરતો જથ્થો હોવાના દાવા કરાય છે. બીજી તરફ ખેડૂતોને યોગ્ય ખાતની જગ્યાએ બિન ઉપયોગી ખાતર પરાણે આપવામાં આવી રહ્યાં છે. હવે ખેડૂતોને વાવણીના સમયે જ ખાતર નહીં મળતા મુશ્કેલી ઉભી થઈ છે. એક તરફ બ્રાંચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ વાવણી માટે ખાતર નહીં મળતા ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર ખાતરની સમસ્યા દૂર કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.