રાજ્યમાં બેફામ વસુલાતા ટોલ અને રોડના નામે ખાડા ખડીયાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. ગઇ કાલે જ અમદાવાદના ત્રાજપ નજીક રોડની વચ્ચે ઉભેલા ડંપરમાં એક બસ અઠડાવાને કારણે કૂલ 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં સૌરાષ્ટ્ર ફરી એકવાર બસ અકસ્માતનું સાક્ષી બન્યું છે. મોરબીના હળવદ નજીક વધારે એક બસ હાઇવે પર અકસ્માતનો ભોગ બની હતી.


મળતી માહિતી મુજબ, મોરબી નજીક હળવદ પાસે મધરાતે ખાનગી બસ પલ્ટી મારી ગઇ હતી. આ દુર્ઘટનામાં જો કે સદભાગ્યે કોઇનું મોત નિપજ્યું નહોતું. પરંતુ આ દુર્ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પૈકી 1 વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. બસમાં કૂલ 56 લોકો બેઠેલા હતા. ત્યારે હળવદના દેવળીયા પાસે મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો.

બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ સાઇડમાં ઉતરી જઇને પલટી મારી હતી. ગાંધીનગરથી ભુજ જઇ રહેલી આ બસના અકસ્માત અંગેની માહિતી મળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ તંત્રને પણ જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સોનો ખડકલો થઇ ગયો હતો. મોરબી હોસ્પિટલનાં ડોક્ટર્સને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા.

  • Follow us on: