રાજ્યમાં બેરોજગારી સંદર્ભના કોંગ્રેસના આક્ષેપ બાબતે ભાજપ પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ આક્ષેપો બેબુનિયાદ, તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. ગુજરાતમાં બેરોજગારીનો દર ફક્ત 1.1% છે. ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની માટીમાં જ વેપાર અને સાહસ, અહીંનું કલ્ચર માત્ર રોજગારી મેળવવાનું નથી, પણ હજારો હાથોને કામ આપવાનું છે. ગુજરાતનો યુવાન આજે સાબિત કરી રહ્યો છે કે તે જોબ સીકર નહીં પણ આત્મનિર્ભર જોબ ગીવર છે. ગુજરાત દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે. સમગ્ર દેશમાંથી લોકો રોજગારી મેળવવા ગુજરાતમાં આવે છે.
બમ્પર ભરતી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ
ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે 7 હજારથી વધુ ભરતી મેળાના આયોજન થકી 8 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ પૂરૂ પાડવા ઓનલાઈન વ્યવસ્થાના ભાગરૂપે ‘અનુબંધમ’ વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે. ‘અનુબંધમ’ વેબ પોર્ટલ પર કુલ ચાર લાખ એંશી હજારથી વધુ ઉમેદવારો તથા 54 હજારથી વધુ નોકરીદાતાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ગુજરાત ગૌણ સેવામાં ૫૬૬૦ જેટલી અને પોલીસ વિભાગમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓની બમ્પર ભરતી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.













