દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને ચણાના ઊભા પાકમા લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં અંગેની માર્ગદર્શિકા જૂનાગઢ તેમજ આણંદ કૃષિ યુનિવર્સીટીના નિષ્ણાંતો દ્વારા અપાયેલ સુચનોને આધારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે.
લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે આમ કરવુ
લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ થી ૪૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી. ખેતરમાં વીઘા દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવું અથવા જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીંપા નાખવા જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂદીઓ પાણીમાં પડતા નાશ પામશે. પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-પ૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા. લીંબોળીનાં મીંજનો ભુકો પ૦૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામનો કે અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨ થી ૩ છંટકાવ કરવા.













