ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી.આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભા રહીને કુલ રૂ.11 હજાર કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ 15000 કરોડના મૂલ્યની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.જેના પરિણામે સહાય મળતા આજે ખેડૂત ફરી એકવાર બેઠો થયો છે.
ખેડૂતોએ પુષ્કળ માત્રામાં રવિ પાકોનું વાવેતર કર્યું
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને થયેલા નુકસાન બાદ રવિ સિઝનમાં વાવેતર ઘટવા અંગે અનેક ચર્ચાઓ હતી, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયની મદદથી ખેડૂતોએ પુષ્કળ માત્રામાં રવિ પાકોનું વાવેતર કર્યું છે.ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૩૭.૧૫ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૩૭.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા ૩૭,૦૦૦ હેક્ટર વધુ છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ઘઉંનું ૧૦.૮૩ લાખ હેક્ટર, ચણાનું ૭.૧૦ લાખ હેક્ટર, તેલીબિયાં પાકનું ૨.૬૬ લાખ હેક્ટર, મસાલા પાકોનું ૩.૨૪ લાખ હેક્ટર અને બટાટા પાકનું કુલ ૧.૫૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટા પાકના વાવેતરમાં ૨૧ ટકાની વૃદ્ધિ થઈ છે.
