દાંતીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને જણાવવામાં આવે છે કે, સને ૨૦૨૫- ૨૬ની રવિ સીઝન માટે જળાશયમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઈ પાંચ પાણ સાથે કુલ ૧૮,૦૦૦ હેકટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે.


બાગાયતદારોને પાણી મેળવવા માટે નિયત નમૂના ફોર્મ

પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને પાણી મેળવવા માટે નિયત નમૂના ફોર્મ- ૭માં જરૂરી વિગતો દર્શાવી અરજી કરવાની રહેશે. અગાઉ આ અરજી કરવાની અંતિમ તારીખ તા. ૩૧/૧૨/૨૦૨૫ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સિંચાઈ માટે અરજીઓની સંખ્યા ઓછી આવવાથી તથા પેટા વિભાગ કચેરીઓ તરફથી મુદત લંબાવવા માંગણી થવાથી અરજી કરવાની મુદત હવે તા. ૨૦/૦૧/૨૦૨૬ સુધી લંબાવવામાં આવે છે. બાગાયતદારોએ પોતાની અરજી સંબંધિત વિસ્તારના સેકશનલ ઓફિસર/કારકુનને રૂબરૂમાં તા. ૨૦/૦૧/૨૦૨૬ સુધીમાં પહોંચાડવાની રહેશે.

ચાલુ સીઝનનો આગોતરો સિંચાઈ પિયાવો પુરેપુરો ભરવો

આ અરજી સાથે ખાતાની બાકી રકમ, પંચાયતની બાકી રકમ તેમજ ચાલુ સીઝનનો આગોતરો સિંચાઈ પિયાવો પુરેપુરો ભરવો ફરજિયાત રહેશે. આ સિવાયની અરજીઓ ગ્રાહ્ય ગણવામાં આવશે નહીં. ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ રૂ. ૩૪૯.૦૦ તથા ૨૦ ટકા લોકલ ફંડ તરીકે રૂ. ૭૦.૦૦, આમ કુલ રૂ. ૪૧૯.૦૦ પ્રતિ હેકટર દીઠ ભરવાના રહેશે. ઉપર મુજબ અરજી કરી પાણીનો પાસ મેળવી લેવો ફરજિયાત રહેશે. પાણીના પાસ વિના પાણી આપવામાં આવશે નહીં. ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે. આ બાબતે કોઈ પણ પ્રકારની તકરાર અત્રેની કચેરી દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમ કાર્યપાલક ઈજનેર ડીસા સિચાઇ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે


આ પણ વાંચોઃ Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાહેડ પ્રોપર્ટી ઓલમ્પિયાડનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું


  • Follow us on: