કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી ખેત બચાવો અભિયાનની શરૂઆત કરાવી હતી.આ અભિયાન સમગ્ર રાજ્યમાં 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યોજાશે.આ યોજના અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામે-ગામ જઈને ખેડૂતોને ‘ખેત બચાવો અભિયાન’ વિશે વિગતવાર માહિતગાર કરશે.
ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે,ખેતી એ આપણા પૂર્વજોનો વારસો અને આપણો આત્મા છે.જો આજે આપણી ખેતીની જમીનને નહીં બચાવીએ તો આવતીકાલે માનવજાત પણ નહીં બચે.આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ છે.ડી.એ.પી. અને યુરિયા જેવાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગને કારણે ધીરે-ધીરે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. જમીનના માધ્યમથી આ રાસાયણિક તત્વો પશુઓ અને માતાના દૂધ સુધી પહોંચી ગયાં છે, જેને કારણે નિર્દોષ બાળકો ગંભીર રોગોનો પણ ભોગ બની રહ્યાં છે.
