ગુજરાતમાં ચોમાસા અને માવઠાના મારથી ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે. હજી આ રાહત ખેડૂતો પાસે ધીમે ધીમે પહોંચી રહી છે. તેવામાં શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની મોકાણ સામે આવી છે. ખાતરની અછતને કારણે ખેડૂતોને વાવેતર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતુ હોવાનો આક્ષેપ
ઉત્તર ગુજરાતમાં થરાદ અને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ખાતર માટે ખેડૂતોની મોટી લાઈનો લાગી છે. ખેતરમાં વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતુ હોવાનો આક્ષેપ કર્યો છે. ભીલોડામાં સતત ત્રીજા દિવસે ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી છે. એગ્રો બિઝનેસ સેન્ટર પાસે લાંબી લાઈનો જોવા મળી છે.













