આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે તમાકુના પાકમાં મોલોમસી જીવાતનો ઉપદ્રવ નોંધાયો છે. આ જીવાતના પ્રકોપને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર નકારાત્મક અસર પડી શકે છે.
દવાને પાણીમાં મિક્સ કરીને સમાન રીતે કરો છંટકાવ
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં મોલોમસી ઝડપથી ફેલાય છે, તેથી ખેડૂતોએ નિયમિત ખેતરની મુલાકાત લઈને પાકનું નિરીક્ષણ કરવું જરૂરી છે. મોલોમસીના અસરકારક નિયંત્રણ માટે સિસ્ટેમેટિક ઇન્સેક્ટીસાઇડ એટલે કે શોષક પ્રકારની જંતુનાશક દવા ઉપયોગમાં લેવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ડાયમિથોએડ નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરવા જણાવાયું છે. 20 મિલી દવા પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્રણ કરીને સમાન રીતે છંટકાવ કરવાથી જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે.













