નેપાળમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાના અંદાજે 25થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની વિગતો સામે આવી છે.જેમાં કેટલાક યાત્રીઓ સાથે છેલ્લા 48 કલાકથી તમામ સંપર્ક તૂટી જતાં તેમના પરિવારોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના વિવિધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખીને ફસાયેલા લોકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.જે દરમિયાન વલસાડની એક મહિલા સંપર્ક વિહોણી થયા બાદ નેપાળમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં સ્થાનિક તંત્ર અને ભારતીય દૂતાવાસ દ્વારા તમામ ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવા અને સંપર્કવિહોણા થયેલા અન્ય લોકોને શોધવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

વિશ્વના 30થી વધુ દેશોના નાગરિકો ગુમ
ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ, ટ્રેકર્સ, શ્રદ્ધાળુઓ અને મજૂરો સામેલ છે, જેઓ માઉન્ટ કૈલાશની યાત્રા કે ટ્રેકિંગ માટે પહોંચ્યા હતા. પૂરની તીવ્રતા એટલી ભયાનક હતી કે વિશ્વના 30થી વધુ દેશોના નાગરિકો ગુમ થઈ ગયા છે.નેપાળના આપદા પ્રબંધન પ્રાધિકરણ અનુસાર દેશમાં ઘટેલી દુર્ઘટનામાં જે લોકો ગુમ છે તેમાં 517 વિદેશી નાગરિકો છે.નેશનલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોમાં 113 નેપાળી પ્રવાસીઓ,સેના અને પોલીસના 85 જવાનો, રસુવા જિલ્લાના 161 અને નુવાકોટ જિલ્લાની 1 વ્યક્તિ સામેલ છે.ચીનના તિબેટ સ્થિત ગિયિરોંગ કાઉન્ટીમાં 3 લોકોના મોત થયા છે અને 558 લોકો ગુમ છે,જેમાં 260 વિદેશીઓ છે.
આ હોનારતમાં ભારતીયોને પણ મોટી અસર પહોંચી છે
આ હોનારતમાં ભારતીયોને પણ મોટી અસર પહોંચી છે.ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શકતો નથી, જેમાં પાવર પ્રોજેક્ટ પર કામ કરતા 73 લોકો અને માઉન્ટ કૈલાશની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સામેલ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર 90 અમેરિકન નાગરિકોનો કોઈ પત્તો નથી, જ્યારે ચીન તરફથી નેપાળમાં 100 જેટલા ચીની નાગરિકો પણ ગુમ છે.હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને હેલિકોપ્ટરની મદદથી અત્યાર સુધીમાં 50થી વધુ વિદેશી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Gymમાં કસરત દરમિયાન ડૉક્ટરનું અચાનક મોત, CCTV વીડિયો સામે આવ્યો, જાણો યુવાનોમાં હાર્ટ ડિઝીઝના કારણો