ગુજરાતમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસના કહેરને લઈને સરકાર અને આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 12 દર્દીઓના મોત નિપજ્યાં હોવાની વિગતો સામે આવી છે.ચાંદીપુરા વાયરસના કહેરને રોકવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સતત દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 89 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.જેને લઈને સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.
18 પોઝિટીવ કેસ અને 12 દર્દીના મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 89 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે જેમાથી કુલ 18 પોઝિટીવ કેસ અને 12 દર્દીના મોત નિપજ્યા છે. શંકાસ્પદોના તપાસ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાંથી 15 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. શંકાસ્પદ પૈકી 74 સેમ્પલના પરિણામો મળ્યા છે.રાજ્યમાં ઠેરઠેર આરોગ્ય વિભાગની ટીમ સતત કામ કરી રહી છે.
ચાંદીપુરા વાયરસ શેનાથી ફેલાય છે?
ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય (Sandfly) નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે.આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે.
આ ચેપી રોગનાં લક્ષણો
આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી,શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે.આ લક્ષણો એટલા ઝડપી અને ઘાતક હોય છે કે જો આવા લક્ષણો દેખાયાના 24થી 48 કલાકની અંદર તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ થવાનું જોખમ પણ રહેલું છે.
આ પણ વાંચોઃ Surat Rain Alert: શહેરમાં આજે રાત્રે અતિભારે વરસાદની શક્યતા, લોકોને ઝડપથી ઘરે પહોંચી જવા મનપા દ્વારા અપીલ કરાઈ