ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે. પોતાના હક્કો અને વ્યાજબી માગણીઓ સંતોષવા માટે સમગ્ર રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં આશા વર્કર અને આંગણવાડી કાર્યકર મહિલાઓ અમદાવાદ શહેરમાં એકત્રિત થશે. અમદાવાદના લાલ દરવાજા સ્થિત ઐતિહાસિક સરદારબાગ ખાતે બે દિવસીય આક્રમક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સરકાર અને સંબંધિત વિભાગનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવશે.

વેતન વધારો અને નિવૃત્તિ વયમર્યાદા વધારવા મુખ્ય માગ

આ આંદોલન પાછળ આંગણવાડી અને આશા વર્કરોની લાંબા સમયથી ચાલી આવતી આર્થિક અને સેવાકીય માગણીઓ મુખ્ય કારણ છે. પ્રદર્શનકારી મહિલા કર્મચારીઓની પ્રાથમિક માગણીઓમાં માસિક વેતનમાં યોગ્ય અને સંતોષકારક વધારો કરવો, વધતી મોંઘવારી મુજબ સેવા ભથ્થાં ચૂકવવા તેમજ નિવૃત્તિની વયમર્યાદામાં વધારો કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રાજ્યના ખૂણે-ખૂણેથી મહિલા કર્મચારીઓ મોટી સંખ્યામાં અમદાવાદ આવી પહોંચશે, જેને પગલે લાલ દરવાજા વિસ્તારમાં મોટો જમાવડો જોવા મળશે.

સ્થાનિક સેવાઓ પર અસરની શક્યતા

બે દિવસના આ મોટા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લાલ દરવાજા અને સરદારબાગ આસપાસ કાયદો-વ્યવસ્થા જાળવવા તથા ટ્રાફિક સુચારુ રાખવા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોની આ હડતાળના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ચાલતી પ્રાથમિક આરોગ્ય, બાળ પોષણ અને રસીકરણ સહિતની સેવાઓ પર આંશિક અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે. મહિલા મંડળોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે વાટાઘાટો કરી સંતોષકારક આશ્વાસન નહીં અપાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad News : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આવશે ગુજરાતમાં! BLO અને ELC સભ્યો સાથે યોજાશે મોટો કાર્યક્રમ