ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા, મતદાતા જાગૃતિ અને ચૂંટણી સંચાલનને સુદ્રઢ બનાવવા સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્ય ચૂંટણી કમિશનર પોતાના ગુજરાત પ્રવાસનો શુભારંભ ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લઈને કરશે. આ ઉપરાંત, તેઓ ગુજરાતની પ્રાચીન સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમૂના સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.
500થી વધુ BLO સાથે બેઠક
પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અમદાવાદ સ્થિત AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ સાધશે. આ સંવાદ દરમિયાન 'ભારતમાં ચૂંટણીઓનું સંચાલન' વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત, લોકશાહીની પાયાની ઈંટ ગણાતા 500થી વધુ બીએલઓ (BLO - બ્લોક લેવલ ઓફિસર) સાથે પણ તેઓ વિશેષ બેઠક કરીને તેમની કામગીરીની સમીક્ષા કરશે અને માર્ગદર્શન પૂરું પાડશે.
