અમદાવાદ શહેરમાં ઓડિટ કરાવ્યા વગર ચાલતી ગ્રાન્ટેડ (અનુદાનિત) શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2023-24નું હિસાબી ઓડિટ બાકી રાખનાર શહેરની 129 જેટલી ગ્રાન્ટેડ શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં ઓડિટની પ્રક્રિયા પૂર્ણ ન કરાતાં વહીવટી તંત્રે હવે આકરું વલણ અપનાવ્યું છે.

3 વખત આદેશ આપ્યા છતાં બેદરકારી

તંત્ર દ્વારા અગાઉ ત્રણ-ત્રણ વખત સ્પષ્ટ આદેશો અને યાદીઓ આપવા છતાં પણ સંબંધિત શાળા સંચાલકો દ્વારા ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. શાળાઓની આ ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે 25 સપ્ટેમ્બર સુધીની આખરી મુદત (અલ્ટીમેટમ) આપી છે. આ સમયગાળા દરમિયાન તમામ હિસાબી ઓડિટ પૂર્ણ કરીને તેનો સત્તાવાર રિપોર્ટ જમા કરાવવો ફરજિયાત રહેશે.

સંચાલક મંડળની અંગત જવાબદારી નક્કી કરાશે

શિક્ષણ વિભાગે આ આદેશ સાથે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 25 સપ્ટેમ્બર સુધીમાં ઓડિટની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. આ સાથે જ, ઓડિટ ન થવાના કિસ્સામાં ઊભી થનારી તમામ વિષમ પરિસ્થિતિઓ અને પરિણામોની અંગત જવાબદારી શાળાના સંચાલક મંડળની રહેશે. આ કાર્યવાહીથી અમદાવાદના શિક્ષણ આલમમાં અને શાળા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Surat News : લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! રાંદેરના ઝેપ્ટો ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની છાસ અને બ્રેડ જપ્ત