અમદાવાદના પીરાણા-વિશાલા રૂટ પર આવેલા શાસ્ત્રી બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જર્જરિત થઈ ચૂકેલા આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, કાયદાના ધજાગરા ઉડાડીને દિવસ-રાત ઓવરલોડ ડમ્પરો અને ટ્રકો બેરોકટોક દોડી રહ્યા છે. સૌથી ચોંકાવનારી અને શંકાસ્પદ બાબત તો એ છે કે ભારે વાહનોને બ્રિજ પર પ્રવેશતા રોકવા માટે લગાવવામાં આવેલી લોખંડની મજબૂત એંગલો જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે! દિવસદહાડે હજારો વાહનચાલકોની હાજરી વચ્ચે દોડતા આ ઓવરલોડ રાક્ષસી વાહનો જર્જરિત બ્રિજનું આયુષ્ય તો ઘટાડી જ રહ્યા છે, સાથે નિર્દોષ નાગરિકોની જિંદગીને પણ મોતના મુખમાં ધકેલી રહ્યા છે.
ખાખી અને તંત્રની મિલીભગત?
પ્રતિબંધિત માર્ગ પરથી ખુલ્લેઆમ ભારે વાહનો પસાર થાય અને રસ્તા પરથી લોખંડની એંગલો ગાયબ થઈ જાય છતાં સ્થાનિક ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોર નિંદ્રામાં ઝડપાયેલું રહે, તે તંત્રની દાનત સામે ગંભીર સવાલો ઊભા કરે છે. કડક પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાના દાવાઓ વચ્ચે પણ આ ઓવરલોડ વાહનો કોના આશીર્વાદથી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે? આ જોખમી સવારી પાછળ કયા અધિકારીઓની રહેમનજર કે હપ્તાખોરી કામ કરી રહી છે? કાયદાનું પાલન કરાવવામાં ટ્રાફિક પોલીસની આ નપુંસકતા અને ગુનાહિત આંખ આડા કાન કરવાની નીતિ જ અસામાજિક અને બેફામ વાહનચાલકોને પ્રોત્સાહન આપી રહી છે.
