અમદાવાદના પેટ લવર્સ માટે એક સારા સમાચાર છે. હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા પેટ ડોગ્સ અને કેટ્સની અંતિમ ક્રિયા બાદ તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ પ્રકારની પહેલ કરનાર AMC પ્રથમ મહાનગરપાલિકા બની છે.
અંતિમવિધિ માટે ખાસ સ્મશાનગૃહ બનાવાયું
અગાઉ આઠ મહિના પહેલા AMC દ્વારા પેટ ડોગ્સ અને કેટ્સ માટે અંતિમ વિધિની ખાસ સુવિધા ધરાવતું સ્મશાનગૃહ શરૂ કરવામાં આવ્યું હતું. 30 લાખ રૂપિયાના ખર્ચે CNG દ્વારા સંચાલિત આ સ્મશાનગૃહમાં એક સમયે 2 થી 3 ડોગ્સના અંતિમ સંસ્કાર થાય તેવી ક્ષમતા વિકસાવવામાં આવી છે. પેટ ઓનર્સ કે જે તેમના પેટ્સને પોતાના ઘરના સભ્યની જેમ માનતા હોય છે અને પેટ્સની પણ પરિવારના સભ્યની જેમ જ લાગણી અને સન્માનપૂર્વક અંતિમ વિધિ કરાવતા હોય છે તેમના માટે આ સુવિધા ખાસ ઉપયોગી બની રહી છે એવામાં હવેથી અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ AMC દ્વારા સર્ટિફિકેટ પણ આપવાની આ પહેલ એ પેટ લવર્સ માટે આવકારદાયક છે.
સ્મશાનગૃહની સુવિધા મેળવવા શું કરવું
શહેરમાં જે પેટ ઓનર આ સુવિધાનો લાભ લેવા માગતા હોય તેમણે પેટ ડોગના મૃત્યુની જાણ 155303 નંબર પર કરવાની રહેશે. એના પછી તેમણે પેટ ડોગનાં રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહેશે. જેના પછી સંબંધિત વિભાગની ટીમ દ્વારા જે તે પેટ ઓનરના ઘરે પહોંચી પૂજાવિધિ ફૂલહાર બાદ વિધિવત તેને સ્મશાનગૃહ પર લાવી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ સ્મશાનગૃહ CCTVથી સજ્જ છે, જો માલિક વિધિમાં સામેલ ન થવા માગતા હોય તો તેઓ ઘરબેઠા પણ અંતિમવિધિ જોઇ શકે છે. આ ઉપરાંત જે માલિકોએ પેટ્સનું રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેમના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ આપવામાં આવે છે. પરિવારજનો માટે પેટ્સના ફોટો તથા વીડિયો મોકલવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
પેટ્સને દફનાવવાને બદલે અંતિમ સંસ્કાર કેમ?
પેટ્સની દફનવિધિને બદલે અંતિમ સંસ્કારની પદ્ધતિ અપનાવવાનું મુખ્ય કારણ એ છે કે દફનાવવા માટે ઘણીવાર જમીન ઉપલબ્ધ હોતી નથી. તેમજ કોઇ રોગચાળાને કારણે જો તેનું મૃત્યુ થયું હોય તો જમીન પ્રદૂષિત થવાનો કે સંક્રમણ ફેલાવવાનો પણ ભય રહે છે જેને ટાળવા માટે પણ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?