અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા આશ્રમ રોડ અને વાડજ સર્કલ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. વાડજ સર્કલ પાસે આશરે Rs 107 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો 700 મીટરથી વધુ લાંબો 4-લેન આધુનિક ફ્લાયઓવર બ્રિજ હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. તંત્ર દ્વારા આ બ્રિજને સપ્ટેમ્બર મહિનામાં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.
દૈનિક 1 લાખથી વધુ વાહનચાલકો માટે મહત્વપૂર્ણ
આ નવો ફ્લાયઓવર ખાસ કરીને આશ્રમ રોડ, વાડજ, રાણીપ અને ગાંધી આશ્રમ તરફ જતા દૈનિક 1 લાખથી વધુ વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અગાઉ વાડજ સર્કલ અને આસપાસના વિસ્તારમાં સિગ્નલો પર વાહનોની લાંબી લાઈનો લાગતી હતી અને ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાતી હતી. આ બ્રિજ ચાલુ થવાથી ગાંધી આશ્રમ, અખબારનગર અને રાણીપ જતો વાહનવ્યવહાર સીધો અને ઝડપી બનશે, જેનાથી લોકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે.
