અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા આશ્રમ રોડ અને વાડજ સર્કલ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. વાડજ સર્કલ પાસે આશરે Rs 107 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો 700 મીટરથી વધુ લાંબો 4-લેન આધુનિક ફ્લાયઓવર બ્રિજ હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. તંત્ર દ્વારા આ બ્રિજને સપ્ટેમ્બર મહિનામાં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.

દૈનિક 1 લાખથી વધુ વાહનચાલકો માટે મહત્વપૂર્ણ 

આ નવો ફ્લાયઓવર ખાસ કરીને આશ્રમ રોડ, વાડજ, રાણીપ અને ગાંધી આશ્રમ તરફ જતા દૈનિક 1 લાખથી વધુ વાહનચાલકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અગાઉ વાડજ સર્કલ અને આસપાસના વિસ્તારમાં સિગ્નલો પર વાહનોની લાંબી લાઈનો લાગતી હતી અને ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાતી હતી. આ બ્રિજ ચાલુ થવાથી ગાંધી આશ્રમ, અખબારનગર અને રાણીપ જતો વાહનવ્યવહાર સીધો અને ઝડપી બનશે, જેનાથી લોકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે.

આખરી તબક્કાનું નિરીક્ષણ

હાલમાં તંત્ર દ્વારા બ્રિજની મજબૂતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આખરી તબક્કાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બ્રિજ પરથી પસાર થતાં ઓવરલોડ વાહનો અને ભારે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બ્રિજ પર વાહનવ્યવહાર શરૂ કરતાં પહેલાં તમામ ટેકનિકલ પાસાં અને ક્ષમતાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.

ટ્રાફિક નેટવર્કને મોટો બૂસ્ટ મળશે

સપ્ટેમ્બરમાં આ 4-લેન બ્રિજનું લોકાર્પણ થતાં જ ટ્રાફિક નેટવર્કને મોટો બૂસ્ટ મળશે. આ સુવિધાથી આશ્રમ રોડના કનેક્ટિવિટી રૂટ પર વાહનોની અવરજવર અત્યંત સરળ અને સુગમ બની જશે. 


આ પણ વાંચો   :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન