અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવરાજ નડીયા નામના યુવકનું અકસ્માત થયા બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકના પગની સર્જરી કરવાની ફરજ પડી હતી. ઓપરેશન બાદ અચાનક યુવકની તબિયત લથડતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીના આક્ષેપ કર્યા
21 વર્ષીય નવજુવાન યુવરાજના અચાનક થયેલા મોતને પગલે તેના પરિવારજનો અને સગા-સંબંધિઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સર્જરી દરમિયાન કે સર્જરી બાદ યોગ્ય સંભાળ ન રાખવાના કારણે જ યુવરાજનું મોત થયું છે. પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.
