ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે TET-1 ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગેરલાયક ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અરજીઓના કારણે આ ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી પડી હતી, પરંતુ મહિનાઓ બાદ હાઈકોર્ટના આ નિર્ણાયક પગલાથી TET-1 ભરતીને ફરી મોટો વેગ મળ્યો છે.

10 હજાર વિદ્યાસહાયકોની થશે ભરતી

હાઈકોર્ટની લીલી ઝંડી મળતાં જ રાજ્યમાં 10 હજાર જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવાનો માર્ગ સાફ થઈ ગયો છે. આ નિર્ણયથી હજારો લાયક ઉમેદવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જોકે, આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ યોગ્ય લાયકાત કે અન્ય નિયમોના કારણે 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

2027માં વધુ 5 હજાર નવી ભરતીનું સરકારનું વિઝન

શિક્ષણ ક્ષેત્રે નવી તકો ઊભી કરવા અને શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા માટે સરકારે આગામી સમયનું પણ આયોજન સ્પષ્ટ કર્યું છે. આ વર્તમાન ભરતી પ્રક્રિયા બાદ, ભવિષ્યમાં એટલે કે વર્ષ 2027માં વધુ 5 હજાર વિદ્યાસહાયકોની નવી ભરતી કરવાનું વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેથી TET પાસ ઉમેદવારોને ભવિષ્યમાં પણ રોજગારીની ઉત્તમ તકો મળી રહેશે.

આ પણ વાંચો : Surat News : સતીશ મરાઠા હત્યા કેસમાં કાર્યવાહી તેજ, વધુ એક આરોપીની ધરપકડ