અમદાવાદ શહેરમાં આવતીકાલે યોજાનારી ભવ્ય ત્રિરંગા યાત્રાને ધ્યાનમાં રાખીને નાગરિકોને વાહનવ્યવહારમાં અગવડ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ યાત્રાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે AMTS બસ સેવાના અનેક રૂટમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે.

38 રૂટની 284 બસો ડાયવર્ટ કરાઈ
AMC હેલ્થ અને ટ્રાફિક વિભાગના આયોજન મુજબ, ત્રિરંગા યાત્રાના રૂટ પર આવતી AMTS બસોના સંચાલનમાં ફેરફાર કરાયો છે. જે અંતર્ગત કુલ 38 રૂટ પર દોડતી 284 બસોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત, 19 જેટલા રૂટ પર ચાલતી 51 બસોની મુસાફરી ટૂંકાવી દેવામાં આવી છે, જેથી યાત્રા દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય.

સારંગપુર અને કાલુપુર સહિત 5 સ્ટેશનો બંધ
AMTSની સાથોસાથ BRTSના રૂટમાં પણ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. યાત્રાના રૂટ પર આવતા સારંગપુર અને કાલુપુર સહિતના 5 મહત્વના BRTS સ્ટેશનો કામચલાઉ ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ નવા નિયમો અને રૂટ ડાયવર્ઝન આવતીકાલે બપોરે 2:00 વાગ્યાથી અમલમાં આવશે, જેથી મુસાફરોને સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે આગોતરું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gandhinagarમાં 15 વર્ષીય સગીરાનું અપહરણ, કોબાના છાપરા વિસ્તારમાંથી કિશોરી ગુમ