અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારના વિવાદે વધુ વેગ પકડ્યો છે. યુનિવર્સિટીમાં થયેલા નાણાકીય અને વહીવટી ભ્રષ્ટાચારની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવામાં આવે તે માટે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના નિયામકને પત્ર લખીને સત્તાવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે. NSUIના આ પગલાંથી યુનિવર્સિટીના વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે નિષ્પક્ષ તપાસની માંગ

NSUI દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ VC નીરજા ગુપ્તા સામે લગાવવામાં આવેલા ગંભીર આરોપોની યોગ્ય દિશામાં અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે, જેથી યુનિવર્સિટીના સરકારી ભંડોળ અને વિદ્યાર્થીઓના નાણાંનો દુરુપયોગ કરનારા જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે.

યુનિવર્સિટીના તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા માટે રજૂઆત

તપાસ પ્રક્રિયા દરમિયાન પુરાવાઓ સાથે કોઈ ચેડાં ન થાય કે મહત્ત્વના દસ્તાવેજો ગાયબ કરવામાં ન આવે તે માટે NSUIએ આકરી માંગ કરી છે. સંગઠને ACB સમક્ષ યુનિવર્સિટીના તમામ વહીવટી તેમજ હિસાબી રેકોર્ડ તાત્કાલિક ધોરણે સુરક્ષિત અને સીલ કરવાની અપીલ કરી છે. જો આ મામલે વહેલી તકે નિષ્પક્ષ તપાસ શરૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો : Dahod News : દેવગઢ બારીયાના ચેનપુર રોડ પર રાત્રે દીપડો દેખાયો, વાહનચાલકે બનાવેલો Video Viral