અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારના વિવાદે વધુ વેગ પકડ્યો છે. યુનિવર્સિટીમાં થયેલા નાણાકીય અને વહીવટી ભ્રષ્ટાચારની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવામાં આવે તે માટે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના નિયામકને પત્ર લખીને સત્તાવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે. NSUIના આ પગલાંથી યુનિવર્સિટીના વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે નિષ્પક્ષ તપાસની માંગ
NSUI દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ VC નીરજા ગુપ્તા સામે લગાવવામાં આવેલા ગંભીર આરોપોની યોગ્ય દિશામાં અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે, જેથી યુનિવર્સિટીના સરકારી ભંડોળ અને વિદ્યાર્થીઓના નાણાંનો દુરુપયોગ કરનારા જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે.
