અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ અત્યારથી જ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે ગુનાહિત તત્વો સામે લાલ આંખ કરી છે. આ અંતર્ગત દરિયાપુર પોલીસ સ્ટેશન દ્વારા રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક વિશેષ અને પ્રશંસનીય સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.
ગુનેગારોને પોલીસ સ્ટેશન બોલાવી લેવડાવ્યા શપથ
દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તારના રીઢા ગુનેગારો, ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા પેડલર્સ તેમજ શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની યાદી તૈયાર કરીને તેમને પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એકતાનો માહોલ જળવાઈ રહે તે માટે આ તમામ ગુનાહિત તત્વો પાસે ભવિષ્યમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ નહીં થવાના અને શાંતિ જાળવવામાં સહકાર આપવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
