ડાયમંડ સિટી સુરતમાં ખાડીપૂરે હાહાકાર મચાવ્યો છે. દર એક કે બે વર્ષો લોકો ખાડીપૂરનો ભોગ બને છે પણ તેનો કાયમી ઇલાજ તંત્ર શોધી શક્યું નથી. વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ખાડીપૂર રોકવા માટે કરવામાં આવતા તમામ દાવાઓ રીતસર ધોવાઈ ગયા છે. આજે સુરતમાં ખાડીપૂરે વધુ બે નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો છે. 

ભેસ્તાન ખાડીમાંથી વધુ બે મૃતદેહ મળ્યા

મળતી માહિતી અનુસાર, સુરતના ભેસ્તાન ખાડી વિસ્તારમાંથી આજે વધુ બે અજાણ્યા મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ નવીનતમ ઘટના સાથે જ સુરતમાં ચાલુ સીઝનમાં ખાડીપૂરના કારણે સત્તાવાર મૃત્યુઆંક વધીને 43 પર પહોંચી ગયો છે, જ્યારે હજુ પણ ઘણા લોકો ગુમ હોવાની ફરિયાદો ઉઠતાં આ આંકડો વધવાની આશંકા છે.

20 વર્ષમાં 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર!

સુરત મહાનગરપાલિકા અને શાસકોની કથિત બેદરકારીનો ભોગ આજે લાખો સુરતીઓ બની રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં સુરતમાં ખાડીપૂરના કાયમી ઉકેલ માટે અંદાજે 1 હજાર કરોડની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ આ કરોડો રૂપિયાની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને પરિણામ આજે પણ શૂન્ય છે. પ્રી-મોન્સૂન કામગીરી અને ખાડી સફાઈ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવા છતાં સમૃદ્ધ સુરતના ભાગે દર એક કે બે વર્ષે ખાડીપૂરનું દુર્ભાગ્ય ભોગવવાનો વારો આવે છે.

9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં

તંત્રની ઘોર બેદરકારીના કારણે સણિયા હેમાદથી લઈને ડુંભાલ સુધી સંકોચાતી ખાડી વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો માટે કાયમી માથાનો દુખાવો બની ગઈ છે. ખાડી પર થયેલા ગેરકાયદે દબાણો અને અપૂરતા આયોજનને લીધે પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. આજે પણ સુરત શહેરના અંદાજે 9.23 લાખ લોકો આ ખાડીપૂરના સીધા જોખમ હેઠળ જીવી રહ્યા છે. હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે એનડીઆરએફ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં થયેલા મોતના પગલે સ્થાનિક જનતામાં શાસકો સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

Surat Khadi Flood: 2 More Bodies Found in Bhestan, Death Toll Rises to 43

મુખ્ય ખાડીઓ અને તેના વિસ્તાર

સુરતમાં ચોમાસા દરમિયાન જે ખાડીઓમાં પૂર આવવાની કે પાણી ભરાવાની મુખ્ય સમસ્યા રહે છે, તેમાં આ મુખ્ય ખાડીઓ અને તેના વિસ્તારોનો સમાવેશ થાય છે:

મીંઢોળા ખાડી 

આ ખાડી ઉધના, મગદલ્લા અને સચિન જેવા વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારે વરસાદ દરમિયાન આ ખાડી ઓવરફ્લો થવાથી આજુબાજુના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે.

કાંકરા ખાડી 

આ ખાડીના કારણે પણ દક્ષિણ અને પૂર્વ સુરતના કેટલાક વિસ્તારો (જેમ કે લિંબાયત અને ઉધનાના ભાગો) પ્રભાવિત થાય છે.

ભેદવાડ ખાડી 

લિંબાયત, ભેદવાડ, અને પાંડેસરા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થતી આ ખાડી સુરતમાં સૌથી વધુ સંવેદનશીલ ગણાય છે. જ્યારે પણ ભારે વરસાદ પડે કે ખાડીમાં પાણીનું સ્તર વધે, ત્યારે લિંબાયત, મીઠીખાડી, કમરૂ નગર અને આસપાસના સોસાયટી વિસ્તારોમાં ઝડપથી પાણી ભરાઈ જાય છે.

સીમાડા ખાડી 

પુણા, સીમાડા અને સરથાણાના કેટલાક ભાગોમાંથી પસાર થતી નાની ખાડીઓ અને ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થવાને કારણે પુણા ગામ, કુંભારીયા અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતી હોય છે.

પૂર આવવાના મુખ્ય કારણો

જ્યારે શહેરમાં કે ઉપરવાસમાં ભારે વરસાદ હોય અને તે જ સમયે દરિયામાં ભરતી આવે, ત્યારે ખાડીના પાણીનો કુદરતી નિકાલ અટકી જાય છે અને પાણી પાછું મારીને શહેરમાં ઘૂસે છે. ઉપરાંત ખાડી કિનારે થયેલા દબાણો અને કચરો ફેંકાવાને કારણે ખાડીની પાણી વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. ખાડી સાંકડી થઇ ગઇ છે

છેલ્લા 10 વર્ષમાં ક્યારે ક્યારે ખાડી પૂર આવ્યું?

છેલ્લા ૧૦ વર્ષમાં સુરતમાં તાપી નદીના પૂર કરતાં ખાડી પૂરની આવૃત્તિ વધી છે. 

ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019 : આ વર્ષ સુરત માટે ખાડી પૂરની દ્રષ્ટિએ ખૂબ જ ભયાનક હતું. ઉપરવાસમાં ભારે વરસાદ અને સ્થાનિક સ્તરે પડેલા અતિભારે વરસાદને કારણે મીંઢોળા અને ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી ગઈ હતી. લિંબાયત અને ઉધના વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ઓગસ્ટ 2020 : સતત ત્રણ-ચાર દિવસ સુધી પડેલા ભારે વરસાદ અને દરિયામાં આવેલી હાઈ ટાઈડના કારણે ખાડીના પાણી બેક મારતા હતા. જેથી પુણા, કુંભારીયા અને લિંબાયતના વિસ્તારોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા.

સપ્ટેમ્બર 2023 : ચોમાસાના અંત ભાગમાં પૂર્વ ઝોન (વરાછા, પુણા) અને દક્ષિણ ઝોન (લિંબાયત) માં સીમાડા ખાડી અને ભેદવાડ ખાડીના પૂરના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.

જુલાઈ-ઓગસ્ટ 2024 : સ્થાનિક સ્તરે 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાને કારણે મીઠીખાડી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી પાણી ભરાયેલા રહ્યા હતા.

Surat Khadi Flood: 2 More Bodies Found in Bhestan, Death Toll Rises to 43

ખાડી પૂરથી કેટલું અને કેવું નુકશાન થાય છે?

તાપી નદીના પૂર કરતાં ખાડી પૂર લાંબો સમય સુધી ટકે છે અને તે ગંદા પાણીનું હોવાથી નુકસાનનું સ્વરૂપ વધુ ગંભીર હોય છે:

આર્થિક નુકસાન

 લિંબાયત, ગોડાદરા અને ઉધના જેવા વિસ્તારોમાં હજારો નાના વેપારીઓ, લૂમ્સના કારખાના અને દુકાનો આવેલી છે. પૂરના પાણી દુકાનોમાં ઘૂસી જવાથી કાપડનો જથ્થો, મશીનરી અને કાચો માલ બગડી જાય છે, જેનાથી દર વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર પ્રભાવિત થાય છે.

ઘરવખરીનું નુકસાન

આ વિસ્તારોમાં મધ્યમ અને શ્રમિક વર્ગ વધુ રહે છે. ઘરોમાં 3 થી 5 ફૂટ પાણી ભરાવાને કારણે અનાજ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સંપૂર્ણ નાશ પામે છે.

આરોગ્ય અને રોગચાળો

ખાડીનું પાણી કેમિકલ અને ડ્રેનેજના કચરાવાળું હોવાથી પૂર ઓસર્યા પછી મેલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રો અને ચામડીના રોગોનો મોટો રોગચાળો ફાટી નીકળે છે.

મહાનગરપાલિકાને નુકસાન

રસ્તાઓ ધોવાઈ જવા, ડ્રેનેજ લાઈનો ચોકઅપ થઈ જવી અને પૂર બાદ સફાઈ તેમજ દવાનો છંટકાવ કરવા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો જાહેર ખર્ચ થાય છે, સુરતમાં ખાડી પૂર આવવા પાછળ માત્ર 'વધુ વરસાદ' જવાબદાર નથી, પણ તેની પાછળ ભૌગોલિક, કુદરતી અને માનવસર્જિત કારણોનું આખું નેટવર્ક છે

Surat Khadi Flood: 2 More Bodies Found in Bhestan, Death Toll Rises to 43

ભૌગોલિક બનાવટ અને કેચમેન્ટ એરિયા

સુરતની ખાડીઓ (જેમ કે ભેદવાડ, કાંકરા, સીમાડા, મીંઢોળા) નો ઉદ્ભવ સુરત જિલ્લાના ઉપરવાસના તાલુકાઓ (બારડોલી, વાલોડ, પલસાણા, નવસારીના ભાગો) માંથી થાય છે. જ્યારે સુરત શહેરમાં વરસાદ ન હોય, પણ ઉપરવાસના આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે, ત્યારે તે બધું જ પાણી વહીને સુરત શહેરની વચ્ચેથી પસાર થતી ખાડીઓમાં આવે છે. આના કારણે શહેરમાં વરસાદ ન હોવા છતાં અચાનક ખાડીઓ ઓવરફ્લો થઈ જાય છે.

દરિયાની ભરતી અને બેકવોટર ઇફેક્ટ - સૌથી મોટું કારણ

સુરતની મોટાભાગની ખાડીઓ અંતે મીંઢોળા નદી અથવા દરિયાને મળે છે. જ્યારે ચોમાસામાં ભારે વરસાદ ચાલુ હોય અને બરાબર એ જ સમયે દરિયામાં હાઈ ટાઈડ આવે, ત્યારે દરિયાના પાણીનું દબાણ એટલું વધારે હોય છે કે ખાડીનું પાણી દરિયામાં જઈ શકતું નથી. પરિણામે, દરિયાનું પાણી ખાડીના પાણીને પાછું ધકેલે છે. આના કારણે ખાડીનું સ્તર એકાએક વધી જાય છે અને પાણી કિનારા તોડીને શહેરમાં ઘૂસી જાય છે.

અનિયંત્રિત શહેરીકરણ અને કુદરતી પ્રવાહમાં અવરોધ 

છેલ્લા 20-30 વર્ષમાં જે વિસ્તારો પહેલાં ખેતરો કે ખુલ્લી જમીન હતા, ત્યાં આજે મોટી મોટી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ બની ગયા છે.જમીન પાકી થઈ જવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી અને બધું પાણી રસ્તા પર વહીને ખાડી તરફ દોડે છે. ખાડીની મૂળ પહોળાઈ તેની આસપાસ ગેરકાયદે બાંધકામો અને ઝૂંપડપટ્ટીઓ થવાને કારણે સંકોચાઈને માંડ 15-20 મીટરની થઈ ગઈ છે. સાંકડી ગરનાળા અને પુલો પણ પાણીના વહનને રોકે છે.

કેમિકલ વેસ્ટ અને પ્લાસ્ટિક કચરો 

ઔદ્યોગિક વિસ્તારો (પાંડેસરા, સચિન) માંથી નીકળતો કચરો અને શહેરી વિસ્તારનો પ્લાસ્ટિક કચરો ખાડીઓમાં ફેંકવામાં આવે છે. આ કચરો ખાડીના તળિયે જમા થાય છે જેને 'સિલ્ટેશન' કહે છે. આના કારણે ખાડીની ઊંડાઈ ઘટી જાય છે. પરિણામે, ખાડીની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા અડધી થઈ જાય છે અને થોડા જ વરસાદમાં પાણી બહાર આવી જાય છે.

https://twitter.com/sandeshnews/status/2075636559714677110 


ઉકેલ માટે સરકાર અને SMC ની કામગીરી

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા અત્યારે આ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે ખાડી વાઈડનિંગ અને ડીપનિંગ: ખાડીઓને જે-તે ઝોનમાં પહોળી અને ઊંડી કરવામાં આવી રહી છે, તેમજ કિનારે રીટેઈનિંગ વોલ બનાવવામાં આવી રહી છે. ખાડીઓ જ્યાં દરિયા કે નદીને મળે છે ત્યાં મોટા ફ્લડ ગેટ મૂકવામાં આવ્યા છે. ભરતી વખતે આ ગેટ બંધ કરી દેવાય છે જેથી દરિયાનું પાણી શહેરમાં ન આવે, અને શહેરનું પાણી હાઈ-પાવર પંપ મશીનો દ્વારા દરિયામાં પંપ કરી દેવામાં આવે છે.ઉપરવાસમાં વોટર લેવલ માપવા માટે ઓટોમેટિક સેન્સર્સ લગાવાયા છે, જેથી પૂર આવવાના 4 થી 6 કલાક પહેલાં જ સ્થાનિક લોકોને એલર્ટ કરી શકાય.


આ પણ વાંચો :  Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં