અમદાવાદ શહેરમાં ચોમાસાના સામાન્ય વરસાદમાં જ સ્માર્ટ સિટીના રોડ-રસ્તા ધોવાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં ખાડા અને અધિકારીઓ મસ્ત જેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં થયેલા વરસાદ બાદ રોડ સેટલમેન્ટ (રસ્તા બેસી જવા) થવાની ઘટનાઓ અંગે પદાધિકારીઓને અંધારામાં રાખવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતે સ્વીકાર્યું છે કે, શહેરમાં ક્યાંય રોડ સેટલમેન્ટ થયું હોય તેવું તેમના ધ્યાને નથી, જે તંત્ર અને પદાધિકારીઓ વચ્ચેના નબળા સંકલનની ચાડી ખાય છે.

150 જેટલા સ્થળો પર રોડ સેટલમેન્ટ થયા હોવાની આશંકા

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં અંદાજે 150 જેટલા સ્થળો પર રોડ સેટલમેન્ટ એટલે કે રસ્તાઓ બેસી ગયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તારણ મુજબ, કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરો દ્વારા રસ્તાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી. રોડ બનાવ્યા બાદ કે ખોદકામ પછી રસ્તાનું યોગ્ય પુરાણ ન કરવાને કારણે તેમજ તેમાં જરૂરી પાણી નાખીને તેને મજબૂત ન કરવાના લીધે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધસી પડ્યા છે અને મોટા-મોટા ખાડા સામ્રાજ્ય જમાવી ચૂક્યા છે. આ ઉપરાંત પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રસ્તાઓ ધોવાઈ રહ્યા છે.

કામગીરી સમયે જ ધ્યાન રાખવામાં આવે 

આ નબળી કામગીરી અને ભ્રષ્ટાચારની ગંધ આવતા જ જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ વકરતા આખરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને કડક સૂચના આપવી પડી છે. તેમણે જણાવ્યું છે કે, હવે પછી જ્યારે પણ રસ્તાનું કામ થાય ત્યારે અધિકારીઓએ કામગીરી દરમિયાન જ સ્થળ પર હાજર રહીને સતર્કતા રાખવી પડશે. રસ્તાના પુરાણ વખતે યોગ્ય મટીરિયલ અને પાણી નાખીને જ કામ પૂર્ણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા આદેશ કરાયા છે. જો કે, કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ આ રીતે ધોવાઈ જતાં લોકો ટેક્સના પૈસાના વેડફાટ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. 


આ પણ વાંચો---  Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં