એક તરફ અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટને દેશના સૌથી સુંદર અને સ્વચ્છ જાહેર સ્થળોમાં સ્થાન અપાવવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક જુદી જ વાર્તા કહી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાન વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય અને લીલ જામી જતાં તંત્રના તમામ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. તંત્રની આ બેફિકરાઈના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાના આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે.


પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધ

અમદાવાદનું ગૌરવ અને સ્માર્ટ સિટીના વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં આવતા આ પ્રોજેક્ટના પાણી પર આજે લીલની જાડી પરત જોવા મળી રહી છે. નદીના પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધના કારણે અહીં સવાર-સાંજ આવતા મોર્નિંગ વોકર્સ અને પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે સ્થળે લોકો શુદ્ધ હવા અને સ્વાસ્થ્યના લાભ માટે આવે છે, ત્યાં જ હવે પ્રદૂષિત વાતાવરણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થયું છે. કોર્પોરેશનના આ માત્ર દેખાડા અને કાગળ પર ચાલતા અભિયાનો સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેશન સુધી જ સીમિત

સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે રિવરફ્રન્ટની ગ્રાઉન્ડ રિયાલિટી જાણી, ત્યારે લોકોએ ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા કે શું સ્વચ્છતા અભિયાન માત્ર કેમેરા અને સોશિયલ મીડિયાના ફોટો સેશન સુધી જ સીમિત છે? દર વર્ષે સફાઈ, ગાર્ડન મેન્ટેનન્સ અને નદીની જાળવણી પાછળ જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે, છતાં રિવરફ્રન્ટની સુંદરતા પર ગંદકીનું ગ્રહણ કેમ લાગ્યું છે?

 પરિણામલક્ષી કામગીરીની માગ

રિવરફ્રન્ટ એ માત્ર પ્રવાસન સ્થળ નથી પણ ગુજરાતની બ્રાન્ડ ઈમેજ છે. જો શહેરની સૌથી પ્રતિષ્ઠિત જગ્યાની આ સ્થિતિ હોય, તો સામાન્ય વિસ્તારોની હાલત કેવી હશે તે મોટો સવાલ છે. અમદાવાદીઓ હવે તંત્ર પાસે પોકળ જાહેરાતો નહીં, પરંતુ નક્કર અને પરિણામલક્ષી કામગીરીની માગ કરી રહ્યા છે.  


આ પણ વાંચો----     Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું

+

  • Follow us on: