અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દીવાન બલ્લુભાઈ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને રૂપિયા 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી શિક્ષકોની હડતાળ દરમિયાન બાળકોને શાળામાં ગોંધી રાખવાની ગંભીર ઘટનાને પગલે કરવામાં આવી છે. શાળાના આ બેદરકારીભર્યા કૃત્યથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. DEO દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, શાળા તંત્રએ આ સમગ્ર ઘટના અંગે શિક્ષણ વિભાગને જાણ કરી નહોતી જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.


શિક્ષકોએ હડતાળ પાડી

આ ઘટના ત્યારે બની જ્યારે શાળાના શિક્ષકોએ તેમના પગાર અને અન્ય મુદ્દાઓ અંગે હડતાળ પડી હતી. આ હડતાળને કારણે શાળામાં શિક્ષણકાર્ય ખોરવાયું હતું. પરંતુ, આ પરિસ્થિતિમાં શાળાના સંચાલકોએ બાળકોને સમયસર ઘરે મોકલવાને બદલે તેમને શાળામાં જ રોકી રાખ્યા હતા, જેના કારણે વાલીઓમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. DEO ને આ ઘટનાનો જાણ થતાં તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં શાળાની બેદરકારી સ્પષ્ટ થતાં DEO એ નોટિસ ફટકારી દંડની કાર્યવાહી કરી છે.

શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નિર્દેશો આપ્યા

શિક્ષણ વિભાગ દ્વારા શાળાને સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે કે, ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. DEO એ જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષા અને સુવિધા એ શાળાની પ્રાથમિક જવાબદારી છે અને આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલી કોઈપણ શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રૂપિયા 10 હજારનો દંડ એ માત્ર પ્રતીકાત્મક કાર્યવાહી છે, પરંતુ તેનો હેતુ તમામ શાળાઓને ગંભીરતા સમજાવવાનો છે. આ ઘટનાએ ફરી એકવાર શાળાઓના સંચાલન અને બાળકોની સુરક્ષાના મુદ્દાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.


  • Follow us on: