અમદાવાદમાં હડદડ હિંસાના પડઘા જોવા મળ્યા. 12 ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લામાં હડદડ ગામના ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેના બાદ પોલીસે હડદડના 100થી વધુ લોકોની અટકાયત કરી હતી. હડદડ હિંસાના આ મામલાએ વધુ ઉગ્ર સ્વરૂપ લીધું છે. હવે હડદડના લોકોના સપોર્ટમાં આપ પાર્ટી આવતા મામલો રાજકીય રંગ લઈ રહ્યો છે. આજે અમદાવાદમાં નિર્દોષ ખેડૂતોને છોડવાની માગ સાથે આપ પાર્ટીના બે નેતાઓએ અનશનની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ આપ નેતાઓએ 31 ઓક્ટોબરની ખેડૂત મહાપંચાયતમાં ગુજરાતભરના ખેડૂતોએ હાજરી આપીને પોતાની તાકાત બતાવવાનું આહ્વાન કર્યું.


આપ નેતાઓ ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને

બોટાદ જિલ્લાના હડદડ હિંસા બાબતે ફરિયાદ નોંધાયા બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે કહ્યું કે તેઓ ખેડૂતોને પોલીસના અત્યાચારથી બચાવવા માટે મેદાને પડયા છે. પોલીસના તમામ અત્યાચાર સહન કરવા અમે તૈયાર છીએ. પરંતુ નિર્દોષ પ્રજા પર પોલીસની દાદાગીરી નહીં સાખી લેવાય. હડદડ હિંસા મામલે ન્યાય માટે 31 ઓક્ટોબરે મહાપંચાયત યોજવામાં આવશે અને ખેડૂતોને છોડવાની માગ સાથે અનશન કરીશું. તેમ રાજુ કરપડા અને પ્રવીણ રામે જણાવ્યું. વધુમાં તેમણે કહ્યું કે પોલીસે નિર્દોષ ખેડૂતોને માર માર્યો, ખેડૂતોના ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી અને FIR કરી. એટલે અમે આ ખેડૂતોને ન્યાય અપાવીશું. આપ પાર્ટીના કર્તાધર્તા અરવિંદ કેજરીવાલ આ મહાપંચાયતમાં હાજરી આપશે. 

12 ઓક્ટોબરના રોજ બોટાદના હડદડમાં હિંસા

જણાવી દઈએ કે 12 ઓક્ટોબરના રોજ બોટાદના હડદડ ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને તેમાં 100થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી જો કે તેના બાદ નિર્દોષ લોકોને પોલીસે મુક્ત પણ કર્યા હતા. પરંતુ ખેડૂતોને થયેલ હેરાનગતિને લઈને હવે આપ પાર્ટી મેદાને પડી છે. આપ નેતા રાજુ કરપડાનો આક્ષેપ છે કે શાંતિપ્રિય રીતે લોકો ત્યાં ઉભા હતા અને પોલીસે આવીને લાઠીચાર્જ કરીને લોકોને ઉશ્કેર્યા હોવાથી મામલો વધુ ગરમાયો હતો. પોલીસે મહાપંચાયતને રોકવા માટે લોકોની ખોટી રીતે અટકાયત કરી હતી. પોલીસના લાઠીચાર્જના કારણે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને બંને તરફ લોકો ઇજાગ્રસ્ત થયા. 

  • Follow us on: