સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં રાત્રિ પૂજા કરવાની પરવાનગી આપવાના મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે.અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રાત્રિ પૂજા માટે પક્ષપાત કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે અમદાવાદના બે સેવાભાવી ટ્રસ્ટો દ્વારા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે.હાઇકોર્ટે આ મામલે અરજી સ્વીકારીને આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારના પરીવાર સેવા ટ્રસ્ટ અને જય સીયારામ સુંદરકાંડ સેવા ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં સંયુક્ત રીતે આ પિટિશન દાખલ કરવામાં આવી છે. 

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સામે અરજી દાખલ

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રાત્રિ પૂજા માટે માત્ર ગણતરીના 9 ટ્રસ્ટોને જ પરવાનગી આપવામાં આવે છે.આ તમામ મંજૂરી મેળવનારા નાગર બ્રાહ્મણોના જ ટ્રસ્ટો હોવાનો આરોપ લગાવીને અન્ય શ્રદ્ધાળુઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.આ અરજીના સંદર્ભમાં રાજ્ય સરકાર વતી કોર્ટમાં પ્રાથમિક જવાબ રજૂ કરવામાં આવ્યો છે.સરકારે જણાવ્યું છે કે,અંબાજી શક્તિપીઠ ખાતે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને રાત્રિના સમયે પૂજા-અર્ચના માટે મર્યાદિત લોકોને જ મંજૂરી આપવા પાછળ સુરક્ષા વ્યવસ્થા મુખ્ય કારણ છે. 

સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ છે

રાત્રિના સમયે તમામ લોકોને પરવાનગી આપવાથી સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ છે.અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સરકારના આ વલણ સામે અરજદારોએ તમામ શ્રદ્ધાળુઓને સમાન તક મળવી જોઈએ તેવી ન્યાયિક માંગ કરી છે. હાઇકોર્ટ આ સંવેદનશીલ અને ધાર્મિક બાબતને ધ્યાને રાખીને આગામી દિવસોમાં આ કેસ પર વિસ્તૃત સુનાવણી હાથ ધરશે, જેમાં દેવસ્થાન ટ્રસ્ટના નિયમો અને ભક્તોના અધિકારો અંગે મોટો નિર્ણય આવી શકે છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: દેશના 15 રાજ્યોમાં 72 ટકા વરસાદની ઘટ, તો શું વરસાદ વિનાજ ચોમાસુ પસાર થશે?