અમદાવાદ શહેરમાં સૌથી વ્યસ્ત ગણતા સુભાષ બ્રિજ પર તિરાડો પડી ગયા બાદ તેને સુરક્ષાના ભાગ રૂપે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરી અને તેની બાજુમાં અન્ય બે બ્રિજ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા લેવાયો હતો. મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 236 કરોડના ખર્ચે બ્રિજનું રિનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે.
કોર્પોરેશનને 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ નવો બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ કમિટી દ્વારા સુભાષબ્રિજના નિર્માણ સંબંધિત કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી છે.આ નિર્ણયથી કોર્પોરેશનને કરોડો રૂપિયાની મોટી બચત થવાની શક્યતા સેવાઈ રહી છે.રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે વિગતો આપતા જણાવ્યું હતું કે,બ્રિજની ડિઝાઇનની ફી 1.7 ટકાથી ઘટાડીને 0.30 ટકા કરી દેવામાં આવી છે જેના કારણે માત્ર ડિઝાઇન ફી પેટે જ કોર્પોરેશનના 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે.
