ગુજરાતમાં ચોમાસાના વિધિવત પ્રારંભની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે.સીઝનના પહેલા જ સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને રસ્તાઓ ધોવાઈ જવાની વ્યાપક ઘટનાઓ સામે આવ્યા બાદ આખરે કુંભકર્ણ નિદ્રામાં પોઢેલું AMC તંત્ર જાગ્યું છે.વહીવટી તંત્રને હવે બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ ઉતાવળે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.


શહેરના તમામ ઝોન અને વિભાગોને કડક સૂચના

AMCના ઉચ્ચ સત્તાધીશો દ્વારા તાકીદની બેઠક યોજીને શહેરના તમામ ઝોન અને વિભાગોને કડક સૂચના આપવામાં આવી છે કે હવે ચોમાસાની આખી સીઝન દરમિયાન શહેરમાં ક્યાંય પણ નવા ખાડા ખોદવા નહીં.ગેસ લાઇન, ડ્રેનેજ, કેબલ કે અન્ય કોઈપણ કામગીરી માટે રસ્તાનું ખોદકામ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

 મનપા કમિશનરે એક મોટો આદેશ આપ્યો

શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે એક મોટો આદેશ આપ્યો છે કે સમગ્ર શહેરમાં હાલમાં જ્યાં પણ ખોદકામ ચાલુ છે અથવા જે પણ હયાત ખાડાઓ છે તેને આગામી 7 દિવસની અંદર કોઈપણ સંજોગોમાં વ્યવસ્થિત રીતે પૂરી દેવામાં આવે.પહેલા જ વરસાદમાં પડેલા ભુવા અને ભરાયેલા પાણીના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય વધતા વિપક્ષ અને જનતાના ભારે રોષ બાદ મનપા બેકફૂટ પર આવી છે.હવે જોવાનું એ રહેશે કે આ 7 દિવસનું અલ્ટીમેટમ માત્ર કાગળ પર રહે છે કે ખરેખર અમદાવાદીઓને ખાડા મુક્ત રસ્તા મળે છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતમાં ઘૂસણખોરોની ઊંઘ હરામ કરનાર ઓપરેશન ડેલ્ટા હન્ટની Inside Story



  • Follow us on: