શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મૃતદેહની અંતિમવિધિ માટે લાકડાના બદલે ટાયરો અને જૂના ગોદડાંનો ઉપયોગ કરવાના ગંભીર કિસ્સામાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી છે.લાકડા સપ્લાય કરતી એજન્સી શ્રી વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘને કરારની શરતોનો ભંગ કરવા બદલ 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.જોકે,આ સંસ્થાના પ્રમુખ ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાથી તેમને છાવરવા માટે વિલંબ કરાયો હોવાના અને માત્ર એક જ વર્ષની નહિવત સજા ફાળવાઈ હોવાના આરોપો પણ સામે આવ્યા છે.

13 જુલાઈએ નિર્ણય ટાળ્યા બાદ આખરે દરખાસ્ત મંજૂર

અગાઉ 13મી જુલાઈના રોજ હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલે ચર્ચાના બહાને આ દરખાસ્તને તાકીદે મંજૂર કરવાના બદલે નિર્ણય ટાળી દીધો હતો. વિપક્ષી સૂત્રો અને સ્થાનિકોના આક્ષેપ મુજબ,સંસ્થા સાથે ભાજપના જ પૂર્વ નેતા જોડાયેલા હોવાથી કમિટી દ્વારા લાંબા સમય સુધી તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સતત ઉઠેલા વિરોધ અને એક મહિનાની વિચારણા બાદ આખરે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા આ દરખાસ્તને આખરી મંજૂરી આપવામાં આવી છે.

હવે એક વર્ષ સુધી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે

હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલે જણાવ્યું હતું કે, સંસ્થા સામે શરતોના ભંગ અને લોકહિત વિરુદ્ધની કામગીરી અંગે અનેક લેખિત તથા મૌખિક ફરિયાદો મળી હતી. બ્લેકલિસ્ટ કરાતાં હવે આ સંસ્થા કે તેની સાથે સંબંધિત સભ્યોની અન્ય કોઈ સંસ્થા આગામી 1 વર્ષ સુધી કોર્પોરેશનના કોઈપણ ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં. હાલ સ્મશાન ગૃહમાં સૂકા જલાઉ લાકડા પૂરા પાડવા માટે નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: હીરાવાડીમાં ગંદકી વચ્ચે બનતી 1500 કિલો લોલીપોપનો જથ્થો AMC ફૂડ વિભાગે જપ્ત કર્યો