અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ સામે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ભેળસેળયુક્ત અને નકલી એનાલોગ પનીરનો ઉપયોગ કરતા બે મોટા એકમોને તુરંત સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખોખરા સ્થિત ખોડિયાર દુગ્ધાલય અને નારણપુરામાં આવેલ કૈલાસ દુગ્ધાલયનો સમાવેશ થાય છે. બંને સ્થળેથી આરોગ્ય માટે હાનિકારક એનાલોગ પનીર ઝડપાતાં આ આકરાં પગલાં લેવાયાં છે.
જગતપુરનું મુંબઈયા મિસળપાવ દૂષિત તેલના કારણે સીલ
અન્ય એક કડક કાર્યવાહીમાં જગતપુર ખાતે આવેલા 'મુંબઈયા મિસળપાવ' આઉટલેટને પણ AMC ની ટીમે સીલ કરી દીધું છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન અહી રસોઈમાં વપરાતા કુકિંગ ઓઈલની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું હતું. ચકાસણી દરમિયાન કુકિંગ ઓઈલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં ઘણું વધુ મળી આવ્યું હતું, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

ગ્રેવીમાં સિન્થેટિક કલર વાપરવા બદલ ઓમ શક્તિ રેસ્ટોરન્ટ સીલ
આ ઉપરાંત નરોડા વિસ્તારમાં આવેલી 'ઓમ શક્તિ રેસ્ટોરન્ટ' પર પણ ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. અહીં ગ્રાહકોને પીરસાતી શાક-ગ્રેવીમાં ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્લું પડ્યું હતું. કેમિકલયુક્ત કૃત્રિમ કલરનો ઉપયોગ પકડાતાં જ તંત્રે ઓમ શક્તિ રેસ્ટોરન્ટને સ્થળ પર જ સીલ કરી દીધી છે.

AMC ની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ
અમદાવાદમાં એકસાથે 4 જેટલા જાણીતા ખાદ્ય એકમોને સીલ કરવામાં આવતાં જ ભેળસેળયુક્ત સામગ્રી અને અખાધ્ય પદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. AMC ના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર કોઈપણ આઉટલેટ કે વેપારીને બક્ષવામાં નહીં આવે અને આગામી દિવસોમાં આ ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર રાજ્ય સરકાર દ્વારા વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે.
આ પણ વાંચો - Ahmedabad: EDએ કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ 129.80 કરોડની મિલકતો ટાંચમાં લીધી