જો તમે કે તમારા બાળકો 5 કે 10 રૂપિયાના નમકીન પડીકા હોંશે હોંશે ખાઓ છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. આવા પડીકા ખાવાથી કેન્સર અને અસ્થમા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલા નમકીનના એક સેમ્પલમાં જોખમી ડાઇ કલર હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, અલગ-અલગ પ્રકારના નમકીન પેકિંગ બનાવતી કંપનીઓ પણ આ જીવલેણ ડાઈ કલરનો ઉપયોગ કરી રહી છે.

બાપુનગરના સેમ્પલથી અમરાઈવાડી સુધી પહોંચ્યા તપાસના તાર

આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે AMCના ફૂડ વિભાગ દ્વારા અગાઉ બાપુનગર વિસ્તારમાંથી એક ફૂડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. લેબ રિપોર્ટમાં આ સેમ્પલમાં પ્રતિબંધિત ડાઇ કલરનો ઉપયોગ થયો હોવાનું સાબિત થયું છે. અમદાવાદ કોર્પોરેશને આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ નમકીનનો મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર અમરાઈવાડી વિસ્તારમાં કાર્યરત છે. આ નમકીન પાટણના સિદ્ધપુરમાં આવેલી 'ધારીવાલા ફૂડ' નામની કંપનીમાં બનતા હતા, જે ત્યાંથી અમરાઈવાડીની 'અમન સેલ્સ' નામની એજન્સીમાં સપ્લાય થતા હતા અને ત્યાંથી છૂટક બજારમાં વેચાતા હતા.

Ahmedabad News AMC Raid Cancer-Causing Dye Found in Namkeen Packets, 1500 kg Seized (1)

અમરાઈવાડીના ગોડાઉન પર રેડ

બાતમીના આધારે અમદાવાદ કોર્પોરેશનની ફૂડ ટીમ દ્વારા અમરાઈવાડીમાં આવેલી અમન સેલ્સ એજન્સી પર રેડ કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન ટીમે લાખો રૂપિયાની કિંમતનો નમકીનનો જથ્થો જપ્ત કર્યો છે. બીજી તરફ, અમન સેલ્સ એજન્સીના માલિકે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, અમને આ બાબતે કોઈ જાણ નથી. અમે માત્ર ડિસ્ટ્રીબ્યુટર છીએ અને સિદ્ધપુરથી માલ તૈયાર થઈને જ અમારી પાસે આવે છે. હાલ AMCની ટીમે ગોડાઉનમાંથી અલગ-અલગ નમકીનના નવા સેમ્પલ લઈને તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે.

Ahmedabad News AMC Raid Cancer-Causing Dye Found in Namkeen Packets, 1500 kg Seized (3)

અત્યાર સુધીમાં 1500 કિલો જથ્થો જપ્ત, રાજ્ય સરકારને કરાઈ જાણ

AMC ફૂડ વિભાગના વડા ડૉ. તેજસ શાહે મીડિયાને જણાવ્યું કે, આ નમકીનમાં વપરાતો કલર અસ્થમા અને કેન્સર જેવા ગંભીર રોગો નોતરી શકે છે. અગાઉ 'બચ્ચો કા પાસ્તા' નામની પ્રોડક્ટનું સેમ્પલ ફેલ થયું હતું, જેના આધારે જ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગે અંદાજે 1500 કિલો જેટલો શંકાસ્પદ નમકીનનો જથ્થો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સાથે જ સમગ્ર નેટવર્ક પાટણ જિલ્લા સાથે જોડાયેલું હોવાથી રાજ્ય સરકારના ફૂડ વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને તેમની ટીમ પણ સિદ્ધપુર ખાતે તપાસ માટે પહોંચી ગઈ છે.


આ પણ વાંચો - Ahmedabad : 6 મેગા પ્રોજેક્ટ્સ માટે 2719.80 કરોડ મંજૂર, AMTS-BRTS અને મેટ્રો માટે આવશે એક જ કોમન કાર્ડ